આતંકી જૂથો સાથે ભળેલા લોકો વિકાસ યોજનોનો વિરોધ કરે છે :વડાપ્રધાન મોદી
આઝાદી પછી કોઈ પણ સરકારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અમારી સરકાર જેવી ચળવળ શરૂ નથી કરી :મોદી
નવી દિલ્હી :વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે વિકાસ યોજનાઓનો વિરોધ કરનારા લોકો આતંકી જૂથો સાથે ભળેલા હોવાના પુરાવા મળ્યા છે.તમિલ વર્તમાનપત્ર થાંતીને આપેલા એક ઈન્ટરવ્યૂમાં મોદીએ કહ્યુ કે, તાજેતરના દિવસોમાં અમુક લોકો વિકાસ યોજનાઓને લાગુ કરવાના કામોમાં રોડા નાખી રહ્યા છે.
વર્તમાનપત્રને ઇ-મેઇલથી ઇન્ટરવ્યૂ આપનારા મોદીએ કહ્યું કે, "એવા પુરાવા મળ્યા છે કે આ લોકો આતંકી જૂથો સાથે મળેલા છે. આવું ફક્ત હું જ નથી કહી રહ્યો પરંતુ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ પણ એવું કહેતા હતા કે અમુક વિદેશી એનજીઓ કુડનકુલમમાં પરમાણું પ્લાન્ટના વિરુદ્ધમાં લોકોને ભડકાવી રહ્યી છે."
હકીકતમાં કેન્દ્રીય મંત્રી પોન રાધાકૃષ્ણને થોડા દિવસ પહેલા કહ્યું હતું કે તામિલનાડુમાં અમુક આતંકી ગતિવિધિ જોવા મળી છે જે ચિંતાનો વિષય છે. રાધાકૃષ્ણને સાથે જ જણાવ્યું હતું કે આતંકી જૂથો લોકોની ભલાઈ માટે શરૂ કરવામાં આવતી યોજનાઓ અંગે તેમના મનમાં ડર પેદા કરી રહ્યા છે. વર્તમાનપત્રએ મંત્રી રાધાકૃષ્ણનના આ નિવેદન પર પીએમ મોદીને સવાલ પૂછ્યો હતો, જેનો તેમણે જવાબ આપ્યો હતો
તામિલનાડુ દેશનું સૌથી ભ્રષ્ટ રાજ્ય હોવાના બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નિવેદન પર પીએમ મોદીએ કહ્યું હતું કે, રાજ્યના લોકોને એવો અધિકાર છે કે તે પોતાની સરકારના પ્રદર્શનનું મુલ્યાંકન કરે.
પીએમ મોદીએ કહ્યું, "મારી સરકાર ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં છે. સરકાર તમામ પ્રકારના ભ્રષ્ટાચાર સામે લડશે. આઝાદી પછી કોઈ પણ સરકારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અમારી સરકાર જેવી ચળવળ શરૂ નથી કરી."
આગામી ચૂંટણીમાં રજનીકાંતના પક્ષ સાથે જોડાણ કરવા અંગે પૂછાયેલા સવાલના જવાબમાં મોદીએ જણાવ્યું હતું કે, આ સવાલ સંપૂર્ણ રીતે કાલ્પનિક છે અને આના માટે જવાબની કોઈ આશા નથી. મોદીએ કહ્યું કે ગત લોકસભા ચૂંટણીમાં એઆઇએડીએમકે કે ડીએમકેના સમર્થન વગર જ બીજેપીએ તામિલનાડુમાં એક લોકસભાની બેઠક જીતી હતી.
પીએમ મોદીએ કહ્યું, "તામિલનાડુમાં આ કોઈ સામાન્ય સિદ્ધિ ન હતી. અહીં અમારા અમુક પારંપારિક સમર્થકો છે. એ સમર્થકોની સંખ્યા હવે વધી રહી છે. લાંબા સમય સુધી તામિલનાડુની ચૂંટણીઓમાં લોકો પાસે સીમિત વિકલ્પ હતા. આજની યુવા પેઢી નવા વિકલ્પો શોધી રહી છે." .