કોરોનાથી બાળકોના ભણતર પર લાગ્યું ગ્રહણઃ ૧ કરોડ વિદ્યાર્થીઓને અભ્યાસ છોડવાની આવશે નોબત
વિશ્વના ૧૨ દેશોમાં કોરોના રોગચાળાને લીધે લોકડાઉન થયા બાદ મોટી સંખ્યામાં બાળકો શાળાએ પાછા નહીં જવાની સંભાવના છે
નવી દિલ્હી, તા.૧૪: કોરોના વાયરસના પગપેસારા બાદ મોટાભાગના દેશોની અર્થવ્યવસ્થા ભાંગી પડી છે, એટલું જ નહીં આ વાયરસના કારણે બાળકોનું ભણતર પણ ખતરામાં આવી ગયું છે. તો મધ્યમ પરિવારોની આર્થિક કમર પણ તોડી નાખી છે. કોરોના વાયરસ રોગચાળાને લીધે વધતી ગરીબી અને બજેટ કાપને લીધે વિશ્વભરના લગભગ ૯૭ લાખ બાળકોએ આ વર્ષના અંત સુધીમાં કાયમ માટે સ્કૂલ છોડી દેવાની નોબત આવશે. વિશ્વભરના ૧૨ દેશોની આ વાત છે.
લંડનની સેવાભાવી સંસ્થા સેવ ધ ચિલ્ડ્રને સોમવારે પોતાના અહેવાલમાં પ્રકાશીત કર્યો છે. જો ભારત સહિત તમામ દેશોને સમાવી લેવામાં આવે તો તે આંકડો ૫ ગણો થઈ શકે છે. વિશ્વમાં જ ૧ કરોડ બાળકોએ શિક્ષણ ગુમાવવું પડે એવી સ્થિતી ઊભી થઈ ચૂકી છે. એવો શિક્ષણ વિદ્દોનો અંદાજ છે.
અહેવાલમાં જણાવ્યું છે કે વિશ્વના ૧૨ દેશોમાં કોરોના રોગચાળાને લીધે લોકડાઉન થયા બાદ મોટી સંખ્યામાં બાળકો શાળાએ પાછા નહીં જવાની સંભાવના છે.
આ ૧૨ દેશોમાં મુખ્યત્વે પશ્યિમ અને મધ્ય આફ્રિકાના દેશો, યમન અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે. વિશ્વના અન્ય ૨૮ દેશોમાં પણ આવો જ ભય છે.
આ અહેવાલ મુજબ, હાલના સમયે કોરોના વાયરસને રોકવા માટે લોકડાઉન કરવાને કારણે વૈશ્વિક સ્તરે ૧.૬ અબજ બાળકો સ્કૂલમાં ગયા નથી.