મુખ્ય સમાચાર
News of Monday, 14th June 2021

કોરોનાની બીજી લહેરનું તાંડવ

૬ સપ્તાહમાં ૪ રાજ્યો સિવાય બાકીના પ્રદેશોમાં ડબલ થઈ ગયા મોતના આંકડા

નવી દિલ્હી, તા. ૧૪ :. કોરોનાની બીજી લહેરે આખા દેશમાં આતંક મચાવ્યો છે. ચાર રાજ્યો સિવાય બાકીના દરેક રાજ્યમાં કોરોનાથી થનારા મોતની સંખ્યા છેલ્લા ૬ અઠવાડીયામાં ઓછામાં ઓછી બમણી થઈ ગઈ છે. કેટલાક રાજ્યોમાં આ આંકડા લગભગ ચારગણા જેટલા વધી ગયા છે. પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, ત્રિપુરા અને કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં અન્ય રાજ્યોની સરખામણીમાં ઓછા મોત થયા છે. ૧ એપ્રિલથી અત્યાર સુધીમાં દેશમાં લગભગ ૨.૧ લાખ મોત નોંધાયા છે. જેમાંથી ૫૫ ટકાથી વધારે ૧.૧૮ લાખ મોત પાંચ રાજ્યો મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં નોંધાયા છે. આ પાંચ રાજ્યોમાંથી દરેકમાં છેલ્લા ૬ અટવાડીયામાં કુલ મોતના લગભગ ૬૦ ટકા મોત નોંધાયા છે.મોતના આંકડાઓમાં સૌથી મોટો ઉછાળો બિહારમાં નોંધાયો છે, જ્યાં ૧ એપ્રિલ પછી રાજ્યમાં મરનારાઓની સંખ્યા ૮૩ ટકા નોંધાઈ છે, પણ તે ખાસ તો રાજ્ય સરકાર દ્વારા બે દિવસ પહેલા એક ડેટા અપડેટ પછી ઉમેરાયેલા ૪૦૦૦ મોતના કારણે થયું છે. આ સમયગાળામાં દેશમાં મરનારાઓની સંખ્યા પણ ડબલથી વધી ગઈ - લગભગ ૧.૬૪ લાખથી વધીને સંખ્યા હવે ૩.૭૩ લાખે પહોંચી ગઈ છે. ઉતરાખંડ, આસામ, ગોવા અને ઝારખંડ જેવા રાજ્યોમાં છેલ્લા ૬ અઠવાડીયામાં કુલ મોતમાંથી ૭૦ ટકાથી વધારે મોત થયા છે. એટલે આ સમયગાળામાં આ રાજ્યોમાં મરનારાઓની સંખ્યા ત્રણ ગણાથી વધારે થઈ ગઈ છે. મેઘાલય અને નાગાલેન્ડ પણ આ શ્રેણીમાં જ આવે છે, તો આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં મોતના આંકડામાં ૪૦ ટકાનો વધારો થયો છે.

(5:00 pm IST)