મુખ્ય સમાચાર
News of Thursday, 14th June 2018

ભાજપના સસ્પેન્ડેડ સાંસદ કીર્તિ આઝાદ કોંગ્રેસનો હાથ પકડશે

આઝાદે કહ્યું કે તેઓ દરભંગાથી કોઈ રાષ્ટ્રીય પાર્ટીમાંથી ચૂંટણી લડશે : રાહુલમાં દેખાઈ દમ

નવી દિલ્હી :દિલ્હી જીલ્લા ક્રિકેટ સંઘ મુદ્દે નાણા મંત્રી અરુણ જેટલી પર ગેરરીતીનો આરોપ લગાવ્યા બાદ સસ્પેન્ડ કરાયેલા સાંસદ કીર્તિ આઝાદ કોંગ્રેસનો હાથ પકડે તેવી શકયતા છે તેમણે દરભંગા બેઠક પરથી ચુંટણી લડી શકવાની વાત કરતા જણાવ્યું હતું કે ભાજપે જે સ્થિતિ ઉભી કરી છે તેમાં મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી તેમજ જે પાર્ટીથી લડીશ તે નેશનલ પાર્ટી હશે.

   કીર્તિ આઝાદના કોંગ્રેસમાં જવાના સંકેત મળ્યા છે તેમણે રાહુલ ગાંધીના વખાણ શરૂ કર્યા હતા. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીના નેતુત્વમાં કોંગ્રેસ તેજીથી આગળ વધી રહી છે. રાહુલ ગાંધીની અંદર ખાસ્સો એવો દમ દેખાઈ રહ્યો છે. જે સત્તા પક્ષ ભાજપ માટે ખતરાની ઘંટી છે.

   આ ઉપરાંત કીર્તિ આઝાદના પત્ની પુનમ આઝાદ પહેલાં જ કોંગ્રેસના સામેલ થઈ ચુક્યા છે. પૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદે પીએમ મોદી પર નિશાન સાધતા જણાવ્યું હતું કે તેમણે ૧૫ લાખ રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો, રોજગાર આપવાની વાત કરી હતી. તેનું શું થયું. દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. જેના લીધે જનતા સતત સવાલ કરી રહી છે.

  આ ઉપરાંત તેમણે ભાજપના વિદ્રોહી નેતા શત્રુધનસિંહાના નિવેદન પર કહ્યું કે આરજેડી અથવા કોંગ્રેસ જે પાર્ટીમાં જશે તે અમે તેની સાથે છીએ. જયારે ભાજપના સાંસદ શત્રુધનસિંહાએ આગામી લોકસભા ચુંટણી પટના સાહિબથી કોંગ્રેસ કે આરજેડીની ટીકીટ પર લડવાના સંકેત આપ્યા છે.

(7:56 pm IST)