૧૩ ભેંસની ચોરીનો શક : ટોળાએ બેને રહેંસી નાખ્યા
રાંચી તા. ૧૪ : ઝારખંડના ગોડ્ડા જિલ્લામાં ઢોરની ચોરીના શક પરથી ટોળાંએ ઢોર માર મારીને બે મુસ્લિમોની હત્યા કરી હતી. પોલીસે આ મામલે પોતાની ૧૩ ભેંસ ચોરવાનો આરોપ મૂકનાર ચાર વ્યકિતની ધરપકડ કરી હતી. દુલ્લુ ગામના રહેવાસીઓએ સિરાબુદ્દીન અન્સારી (૩૫) અને મુર્તઝા અન્સારી (૩૦)ને પકડીને એમના પર મંગળવારે રાતે મુંશી મારમુની ૧૩ ભેંસ ચોરવાનો આરોપ મૂકયો હતો.
ગોડ્ડાના એસપી રાજીવકુમારે જણાવ્યું હતું કે ગામવાળાએ એવો દાવો કર્યો હતો કે એમને બનકટ્ટી વિસ્તારમાં બંને પાસેથી ગુમ થયેલી ભેંસો મળી આવી હતી. એમને માર મારીને મારી નાખવામાં આવ્યા હતા. આ મામલે મરમુ અને ત્રણ અન્યો - કાલેશ્રર સોરેન, કિશન ટુડુ અને હરજોહાન કિસ્કુની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે જણાવ્યું હતું કે ચારેયની ધરપકડ કરીને હાલ પરિસ્થિતિ થાળે પાડવામાં આવી છે. એક સપ્તાહ અગાઉ આસામમાં બાળકોની ચોરી કરતા હોવાના શકે ટોળાએ બે વ્યકિતને માર મારીને મારી નાખ્યા હતા. તેલંગણા અને કર્ણાટકમાં પણ આ રીતે પાંચ વ્યકિતને મારી નખાયા હતા.