યુપીમાં મીની વાવાઝોડુઃ ૧૨ના મોતઃ અનેકને ઈજા
ગઈકાલે સાંજે તોફાની પવન, વરસાદ અને વિજળીના કડાકા-ભડાકાએ મચાવ્યો કહેર
નવી દિલ્હી, તા. ૧૪ :. ઉત્તર પ્રદેશમાં ગઈકાલે સાંજે મીની વાવાઝોડુ, વરસાદ અને વિજળી પડવાની અલગ અલગ ઘટનાઓમાં ૧૨ લોકોના મોત થયા છે. જ્યારે અનેકને ઈજા થઈ છે. સીતાપુર, ફૈજાબાદ, ચિત્રકુટ, ગોંડા, હરદોઈ, કોસાંબી અને કન્નોજ જિલ્લામાં વરસાદી તાંડવ સર્જાયુ હતું.
અવધ વિસ્તારમાં સાત લોકોના મોત થયા હતા. એકલા સીતાપુરમાં જ ૭, ગોંડામાં ૨ અને ફૈજાબાદમાં ૧ વ્યકિતનું મોત થયુ હતું. જ્યારે કન્નોજ અને કોસાંબીમાં ૨ - ૨ મોત અને હરદોઈમાં ૧ વ્યકિતનું મોત થયુ હતું. ગોંડા જિલ્લાના નવાબગંજ વિસ્તારમાં અંબરપુર ગામમાં વાવાઝોડુ ફુંકાતા વૃક્ષો તૂટી પડયા હતા અને બે વ્યકિતના મોત થયા હતા. સીતાપુર જિલ્લામાં દિવાલ ધસી પડતા એક વ્યકિતનું મોત થયુ હતું. ફૈજાબાદમાં પણ વૃક્ષ પડવાથી ૪૫ વર્ષની મહિલાનું મોત થયુ હતું. અયોધ્યામાં ૫૦થી વધુ વૃક્ષો તૂટી પડયા હતા અને ૫૦ને ઈજા થઈ હતી.(૨-૪)