કરણીસેનાએ રાજસ્થાનના શિક્ષણમંત્રીના નાક અને કાન કાપવાની આપી ધમકી
રાજપૂતોની સરખામણી કરવાના વિવાદમાં ફસાયા : માફી માંગવાની માંગ : ગંભીર પરિણામની ચીમકી
જયપુર :શ્રી રાજપૂત કરણી સેનાએ રાજસ્થાનના શિક્ષણ મંત્રી કિરણ મહેશ્વરીને કાન અને નાક કાપવાની ધમકી આપી છે. કિરણ મહેશ્વરી પર આરોપ લગાવ્યો છે કે તેમણે રાજપૂતોની સરખામણી ઊંદરો સાથે કરી હતી. જોકે મંત્રીએ કહ્યું કે તેમનો ઇશારો સમુદાય માટે ન હતો. તે છતાં પણ રાજપૂત સંગઠને આ માટે મંત્રી માફી માગે તેવી માગ કરી છે.
એક પ્રેસ કોન્ફરન્સમાં મહેશ્વરીને આવનારી વિધાનસભા ચૂંટણીમાં સર્વ રાજપૂત સમાજ સંઘર્ષ સમિતિ દ્વારા બીજેપી સામે પ્રચાર કરવાના નિર્ણય પર તેમની પ્રતિક્રિયા પુછાતા તેમણે કહ્યું હતું કે, ' એવા પણ લોકો છે જે વરસાદના ઊંદરો જેવા હોય છે, તેઓ ચૂંટણી આવતા જ પોતાના દરમાંથી બહાર આવે છે.'
કરણી સેનાએ પોતાની બેઠક પછી મંત્રીને માફી માગી લો નહીં તો ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી હતી. કરણી સેનાએ કહ્યું કે તેમને યાદ હશે કે આવા નિવેદનો આપતા પદ્માવત સમયે દીપિકા પાદુકોણનો હાલ કેવો થયો હતો.