જોસેફને સુપ્રીમના જજ બનાવવાનો નિર્ણય ફરી લંબાશે
નવી દિલ્હી તા. ૧૪ : ઉત્તરાખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કે. એમ. જોસેફને સુપ્રીમ કોર્ટ જજ બનાવવાનો નિર્ણય ફરી એકવાર ટળે એવી શકયતા છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમના સભ્ય જસ્ટિસ જે. ચેલમેશ્વર ૨૨ જૂને રિટાયર થવાના છે. આ અગાઉ કોલેજિયમની બેઠક યોજાય એવી કોઈ આશા જણાતી નથી.
મોદી સરકારે જોસેફને સુપ્રીમ કોર્ટના જજ બનાવવાનો ઈનકાર કરી દીધો હતો. તેના પછી પાંચ વરિષ્ઠ જજોની કોલેજિયમે એ નક્કી કર્યુ હતું કે તેમનું નામ સરકાર પાસે ફરી મોકલવામાં આવશે, પણ આ મામલે અંતિમ નિર્ણય લઈ શકાયો નથી.
કોલેજિયમની બેઠક તમામ સભ્ય જજોની હાજરીમાં યોજાય છે. સુપ્રીમ કોર્ટમાં હાલના સમયે ઉનાળુ વેકેશન ચાલે છે. આ કારણથી મોટાભાગના જજ નિયમિત રીતે દિલ્હીમાં ઉપલબ્ધ નથી. ખુદ જસ્ટિસ ચેલમેશ્વર અત્યારે હૈદરાબાદમાં છે. આવતા સપ્તાહે જયારે તેઓ દિલ્હીમાં હશે ત્યારે જસ્ટિસ રંજન ગોગોઈ, કુરિયન જોસેફ અને મદન બી લોકુરની ઉપસ્થિતિ હશે એવી આશા નથી.(૨૧.૬)