મુખ્ય સમાચાર
News of Saturday, 14th May 2022

સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન જાયદ અલ નહયાનનું નિધન:40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો

રાષ્ટ્રપતિ જાયદ અલ નહયાન 73 વર્ષના હતા અને છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા : સરકારે 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો ઉપરાંત દેશના તમામ ખાનગી અને સરકારી ક્ષેત્રોમાં ત્રણ દિવસ રજા રહેશે

નવી દિલ્હી : સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન જાયદ અલ નહયાનનું અવસાન થયું છે. UAEની સત્તાવાર સમાચાર એજન્સી WAM એ આ વાતની પુષ્ટિ કરી છે. રાષ્ટ્રપતિ જાયદ અલ નહયાન 73 વર્ષના હતા અને છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા. જાયદ અલ નહયાનના નિધન પર સરકારે 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. આ ઉપરાંત દેશના તમામ ખાનગી અને સરકારી ક્ષેત્રોમાં ત્રણ દિવસ રજા રહેશે. દુબઈ મીડિયા ઓફિસ દ્વારા રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. 2019મા તે ચોથી વાર રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાયા હતા. તેમને તેમના પિતાના ઉત્તરાધિકારીની રીતે ચૂંટવામાં આવ્યા હતા. ઘણા ઇસ્લામી રાષ્ટ્રની સાથે સાથે મોટા મોટા દેશોએ શેખ ખલીફાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

શેખ ખલીફા બિન જાયદ અલ નહયાને 3 નવેમ્બર, 2004 થી દેશના રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક તરીકેનો કાર્યભાર સંભાળ્યો. આ પહેલા તેમના પિતા શેખ જાયદ બિન સુલતાન અલ નહયાન રાષ્ટ્રપતિ હતા. તેઓ 1971થી નવેમ્બર 2004 સુધી દેશના વડા હતા. 1948માં જન્મેલા શેખ ખલીફા યુએઈના બીજા રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના 16મા શાસક હતા. તે શેખ જાયદના મોટા પુત્ર હતા. તેમના કાર્યકાળ દરમિયાન શેખ ખલીફાએ UAE અને અબુ ધાબીના વહીવટને પુનઃગઠિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને સંખ્યાબંધ સુધારાઓ અમલમાં મૂક્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન જ યુએઈનો એટલો વિકાસ થયો કે અન્ય દેશોના લોકો પણ ત્યાં મોટી સંખ્યામાં પહોંચી ગયા.

યુએઈને ગેસ અને તેલ સેક્ટરમાં આગળ વધારવામાં જાયદ અલ નહયાનનું મહત્ત્વનું યોગદાન હતું. આ ઉપરાંત તેમના શાસનકાળ દરમિયાન અન્ય ઉદ્યોગોનો પણ વિકાસ થયો હતો. ખાસ કરીને તેમણે યુએઈના ઉત્તરીય પ્રદેશોના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. જે અન્ય ભાગોની તુલનામાં થોડા પછાત હતા. આ વિસ્તારમાં તેમણે આવાસ, શિક્ષણ અને સામાજિક સેવાઓને પ્રોત્સાહન આપવાનું કામ કર્યું. તેમણે યુએઈમાં ફેડરલ નેશનલ કાઉન્સિલના સભ્યોની સીધી ચૂંટણીની પણ શરૂઆત કરી હતી.

(9:27 pm IST)