યુપીએસસીની પ્રિલિમ્સ સ્થગિત કરાઈ, હવે ૧૦ ઓક્ટોબરે યોજાશે
દેશમાં કોરોનાનો કહેર વકરતાં નિર્ણય
નવી દિલ્હી, તા.૧૩ : સંઘ લોક સેવા આયોગ (યુપીએસસી) એ ગુરૂવારે કોરોનાના વધતા કેસને જોતા જૂનમાં આયોજીત થનારી સિવિલ સેવા પ્રીલિમ્સ પરીક્ષા (યુપીએસસી પ્રિલિમ્સ એક્ઝામ ૨૦૨૧) ને સ્થગિત કરી દીધી છે. હવે જૂનમાં આયોજીત થનારી પરીક્ષા ૧૦ ઓક્ટોબરે આયોજીત થશે. કમિશન ત્રણ તબક્કામાં વાર્ષિક સિવિલ સેવા પરીક્ષા આયોજીત કરે છે, તેમાં પ્રીલિમ્સ, મુખ્ય અને ઈન્ટરવ્યૂ સામેલ છે.
આ પરીક્ષા હેઠળ ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (આઈએએસ), ભારતીય વિદેશ સેવા (આઈએફએસ) અને ભારતીય પોલીસ સેવા (આઈપીએસ) ના અધિકારીઓની પસંદગી થાય છે. આયોગની નોટિસ અનુસાર, કોરોનાને કારણે હાલની પરિસ્થિતિઓને જોતા યૂપીએસસીએ સિવિલ સેવા (પ્રારંભિક) પરીક્ષા ૨૦૨૧ને ટાળી દીધી છે, જે ૨૭ જૂનના આયોજીત થવાની હતી. હવે આ પરીક્ષા ૧૦ ઓક્ટોબર ૨૦૨૧ના લેવાશે. આ પહેલા કોરોનાના વધી રહેલા કેસને જોતા આયોગે યુપીએસસી ઈપીએફઓ રિક્રૂટમેન્ટ એક્ઝામ ૨૦૨૧ની પરીક્ષા પણ સ્થગિત કરી દીધી હતી.