કોરોનાની અસરઃ સીબીએસઈની ૧૦મીની પરીક્ષા રદ્દઃ ધો. ૧૨ની ટાળી દેવામાં આવીઃ કેન્દ્રનો નિર્ણય
૧લી જૂને સમીક્ષા થશે અને બાદમાં નિર્ણય લેવાશે
નવી દિલ્હી, તા. ૧૪ :. કોરોના વાયરસના વધતા સંકટને કારણે સીબીએસઈની પરીક્ષાઓને લઈને ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. સીબીએસઈ ધો. ૧૨ની પરીક્ષાઓને ટાળી દેવામાં આવી છે જ્યારે ૧૦માં ધોરણની પરીક્ષાને રદ્દ કરવામાં આવી છે.
આજે વડાપ્રધાન મોદીએ શિક્ષણ મંત્રી અને મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને તેમા નિર્ણય લેવામાં આવ્યો હતો.
આદેશ અનુસાર ૪ મેથી ૧૪ જૂન સુધી યોજાનારી ૧૨માની પરીક્ષાઓને રદ્દ કરી દેવામાં આવી છે. ૧લી જૂને વધુ એક બેઠક યોજાશે અને તેમા સ્થિતિ જોઈ નિર્ણય લેવાશે. જો પરીક્ષા યોજાશે તો ૧૫ દિવસ પહેલા વિદ્યાર્થીઓને જણાવી દેવાશે.
અત્રે એ નોંધનીય છે કે કોરોના સંકટ વચ્ચે અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ, નેતાઓએ પરીક્ષાઓને રદ કરવા અપીલ કરી હતી. દેશમાં ૩૦ લાખ છાત્રોએ આ પરીક્ષા આપવાની હતી.
રાહુલ ગાંધી અને કેજરીવાલે પણ આ પરીક્ષા રદ કરવા માંગણી કરી હતી.