હૈદરાબાદમાં મક્કા મસ્જિદ બ્લાસ્ટનો ડિસ્ક્લોઝર રિપોર્ટ ગાયબ
કોર્ટમાં કડક સુરક્ષા સાથે રખાયેલ રિપોર્ટના આધારે આરોપી અસીમાનંદની ટ્રાયલ થવાની હતી
હૈદરાબાદમાં 2007માં થયેલા મક્કા મસ્જિદ બ્લાસ્ટના મામલા સાથે જોડાયેલા ડિસ્ક્લોઝર રિપોર્ટના ગાયબ થયો છે જેના પગલે આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે. આ રિપોર્ટ અદાલતમાં કડક સુરક્ષા વચ્ચે સીલ કરીને રખાયો હતો આ રિપોર્ટના આધારે જ આ કેસમાં આરોપી સ્વામી અસીમાનંદની ટ્રાયલ થવાની હતી.આ રિપોર્ટ મંગળવારે ગાયબ થયો હોવાનું બહાર આવ્યું હતું. કોર્ટની સમક્ષ સીબીઆઈના મુખ્ય અધિકારી એસપીટી રાજેશ બાલાજીને દસ્તાવેજોની તપાસમાં માલૂમ પડયું હતું કે આમાથી બે પૃષ્ઠોનો મુખ્ય રિપોર્ટ ગાયબ હતો. બાલજીએ આ મામલાની પહેલી ચાર્જશીટ કોર્ટમં દાખલ કરી હતી. આ મામલો બાદમાં એનઆઈએને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
એનઆઈએની સ્પેશયલ કોર્ટના ન્યાયાધીશ રવિન્દ્ર રેડ્ડી કોર્ટમાં પહોંચ્યા હતા અને તેમણે કેસના દસ્તાવેજ માંગાયા હતા. પરંતુ ઘણી શોધખોળ બાદ પણ દસ્તાવેજ મળ્યા નહીં. આ ચક્કરમાં લગભગ દોઢ કલાક કોર્ટની કાર્યવાહી રોકાયેલી રહી હતી. દસ્તાવેજોમાં અસીમાનંદના ડિસ્ક્લોઝર રિપોર્ટ હતો અને મેમો ઓફ ડિસ્ક્લોઝરના નામથી ચાર્જશીટમાં 88 નંબર પર લગાવાયો હતો. તેમાં આરએસએસના ઘણાં વરિષ્ઠ નેતાઓના નામ પણ હતા. આ દસ્તાવેજ આ મામલાના મુખ્ય દસ્તાવેજ ગણાઈ રહ્યા હતા.. કારણ કે તેના દ્વારા અસીમાનંદનું ભવિષ્ય નક્કી થવાનું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે 18 મે-2007ના રોજ જુમ્માની નમાજ દરમિયાન મક્કા મસ્જિદમાં એક વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં નવ લોકોના મોત નીપજ્યા હતા અને 58 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બાદમાં પોલીસે આંદોલનકારીઓને રોકવા માટે હવામાં ફાયરિંગ કર્યું હતું. આ મામલામાં કુલ 160 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા હતા. તેમા આરએસએસના પ્રચારકનો પણ સમાવેશ થતો હતો. આ મામલામાં આરોપી અસીમાનંદે 2017માં કોર્ટે હૈદરાબાદ-સિકંદરાબાદ નહીં છોડવાની શરતે જામીન આપ્યા હતા.