મુખ્ય સમાચાર
News of Wednesday, 14th March 2018

પેટાચૂંટણી : યુપીમાં હાર માટે કાર્યકરોમાં ઉદાસીનતા કારણ

ભાજપે બુથ મેનેજમેન્ટનો ઉપયોગ ન કર્યો : યોગીની બે દશકમાં ગેરહાજરી હોવાના લીધે પણ પ્રતિકુળ અસર થઇ : માયાવતી-અખિલેશની જોડીને પસંદ કરાઈ

ગોરખપુર, તા. ૧૪ : ગોરખપુર અને ફુલપુર પેટાચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ ભાજપે આને લઇને મૂલ્યાંકનની પ્રક્રિયા હાથ ધરી છે. યોગી આદિત્યનાથના ગઢ ગોરખપુરમાં સમાજવાદી પાર્ટીએ શાનદાર જીત હાસલ કરી લીધી છે. આની સીધી અસર રાજનીતિ ઉપર દૂરગામીરીતે જોવા મળશે. ભાજપના મજબૂત ગઢમાં જીત મેળવી લીધા બાદ સપા અને બસપા વચ્ચે ૨૦૧૯ની ચૂંટણીમાં ગઠબંધનના સ્વરુપમાં આવી શકે છે. ગોરખપુરની યોગી અને ભાજપ માટે અલગ મહત્વ છે. ૨૦૧૪માં યોગી આદિત્યનાથને કુલ મત પૈકી ૫૧.૮ ટકા મત મળ્યા હતા. એટલે કે અડધાથી પણ વધારે મત મળ્યા હતા. આ વખતે દ્વિધ્રુવીય મુકાબલો હતો પરંતુ જો ભાજપ મતહિસ્સેદારીને જાળવી શકી હોત તો આ ગઢ અપરાજિત રહી શક્યો હોત. અહીં ભાજપ અને યોગીની નિષ્ફળતા દેખાઈ રહી છે. ૨૦૧૪માં અહીં સપાને ૨૧.૭૫ ટકા અને બસપાને ૧૬.૫૫ ટકા મત મળ્યા હતા. બંનેને મળીને ૩૯ ટકા મત મળ્યા હતા. બસપે સમાજવાદી પાર્ટીના ઉમેદવારને સમર્થન આપ્યું હતું જે માસ્ટર સ્ટોક તરીકે હોવાનું જાણવા મળે છે. યોગીના ઉદય બાદ પ્રથમ વખથ તેમની ગેરહાજરીમાં આ ચૂંટણી યોજાઈ હતી. બે દશકમાં પ્રથમ વખત યોગી ઉમેદવાર તરીકે ન હતા. મુખ્યમંત્રી બન્યા બાદ તેમને આ સીટ ખાલી કરવાની ફરજ પડી હતી. ભાજપના ઉપેન્દ્ર શુક્લા અહીં મેદાનમાં હતા જ્યારે સમાજવાદી પાર્ટીના પ્રવિણ નિશાદને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. ભાજપ અને યોગી સમર્થકોમાં યોગીની જે રીતે સમર્થન મળતું હતું તે રીતે સમર્થન મળ્યું ન હતું. ભાજપને આની કિંમત ચુકવવી પડી છે. મતદાન પણ ખુબ ઓછું રહ્યું હતું. ગોરખપુરમાં નિષાદ સમુદાયના મત સૌથી વધારે છે. અહીં ૩.૬ લાખ નિષાદ મતદારો છે. સપાએ આના માટે જ પ્રવિણ નિષાદને મેદાનમાં ઉતાર્ય ાહતા. આનો જોરદાર ફાયદો પાર્ટીને મળ્યો છે. ૨૦૧૪માં પણ નિષાદ ઉમેદવારને જ મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા પરંતુ તે વખતે તેમની સામે યોગી આદિત્યનાથ હતા જે હિન્દુત્વની છાપ ઉપર સરળતાથી જીતી ગયા હતા. આ વખતે સપાને બહુજન સમાજ પાર્ટીનો સાથ મળ્યો હતો. નિષાદ પાર્ટી અને પીસ પાર્ટીનું પણ સમર્થન મળ્યું હતું જેથી તમામ મત સમાજવાદી પાર્ટીને મળ્યા છે. યાદવ અને દલિત મતદારોની સંખ્યા બે લાખ છે. સપાને યાદવ, દલિત, મુસ્લિમો અને નિષાદ મતનો ભરપુર સાથ મળ્યો છે. ગોરખપુરમાં ૧.૫ લાખ બ્રાહ્મણ મતદારો રહ્યા છે. સપા અને બસપા એક સાથે આવવાથી સામાન્ય લોકોને ખુશી થઇ છે. આજ કારણસર આ બંને સીટો ઉપર સમાજવાદી પાર્ટીને સફળતા મળી છે. ૨૦૧૪માં ગોરખપુરમાં ૫૪.૬૪ ટકા મતદાન થયું હતું જ્યારે આ વખતે ૪૩ ટકા મતદાન થયું હતું. ઓછા મતદાનના લીધે પણ સૌથી વધારે નુકસાન ભાજપને થયું હતું. માયાવતી અને અખિલેશની સાથે સાથે આવવાથી પોતાના કોર વોટર તેમની સાથે હતા. બીજી તરફ ભાજપ સમર્થકોમાં મતદારોને લઇને ઉદાસીનતા દેખાઈ રહી હતી. માત્ર બે સીટો હોવાથી ભાજપે વધારે ધ્યાન આપ્યું ન હતું. આનો સીધો ફાયદો સમાજવાદી પાર્ટીને થયો છે. ભાજપે કુશળ બૂથમેનેજમેન્ટનો પુરતો ઉપયોગ કર્યો ન હતો.

૨૮ વર્ષ બાદ ભાજપના ગઢમાં ગાબડા પડ્યા છે

યોગી બહાર જતાં જ કિલ્લામાં તિરાડ

        ગોરખપુર, તા. ૧૪ : ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીમાં યોગી આદિત્યનાથને ગોરખપુરમાં ૫૩૯૧૨૭ મત મળ્યા હતા જ્યારે સપાના ઉમેદવાર રાજમતી નિષાદને તેઓએ ૩૧૨૭૮૩ના મત અંતરથી હાર આપી હતી. બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારને ૧૭૬૪૧૨ મત મળ્યા હતા. ૨૮ વર્ષના લાંબા ગાળા બાદ ભાજપના ગઢમાં ગાબડા પડ્યા છે. હિન્દુ મહાસભાના નેતા રહેલા ગૌરક્ષકપીઠના મહંત અવૈદ્યનાથે ૧૯૯૧માં ભાજપની ટિકિટ ઉપર ગોરખપુરમાં જીત મેળવી હતી ત્યારબાદ ૧૯૯૬માં પણ તેઓએ જીત મેળવી હતી. ત્યારપછી ૧૯૯૮માં તેમના શિષ્ય અને વર્તમાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાંસદ બન્યા હતા. ત્યારબાદથી હજુ સુધી તેઓ આ સીટ ઉપર પ્રતિનિધિત્વ કરતા રહ્યા છે. મુખ્યમંત્રી બન્યા બાદ તેઓએ આ સીટ પરથી રાજીનામુ આપ્યું હતું.

(7:45 pm IST)