મુખ્ય સમાચાર
News of Wednesday, 14th March 2018

પેટાચૂંટણી : ગોરખપુર-ફુલપુરમાં ભાજપનો સફાયો, સપાનો વિજય

બિહારમાં જેહાનાબાદ, અરરિયા આરજેડીના ખાતામાં ગઈ : સમાજવાદી પાર્ટી અને બસપ વચ્ચે ગઠબંધન તેમજ ઓછા મતદાનની સીધી અસર દેખાઈ : ગોરખપુરમાં નિષાદની ૨૧ હજારથી પણ વધુ મતથી વિજય

નવી દિલ્હી,તા. ૧૪ : ઉત્તરપ્રદેશની બે સૌથી વીઆઈપી લોકસભા સીટો ગોરખપુર અને ફુલપુરમાં સમાજવાદી પાર્ટીએ શાનદાર જીત મેળવી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ક્ષેત્ર ગોરખપુરમાંથી સમાજવાદી પાર્ટીના ઉમેદરવા પ્રવિણ નિષાદે ભાજપના ઉપેન્દ્ર શુક્લાને ૨૧૮૮૧ મતે હાર આપી હતી જ્યારે ફુલપુરમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર નાગેન્દ્ર પટેલે ૫૯ હજારથી પણ વધારે મતથી જીત મેળવી હતી. શરૂઆતમાં તીવ્ર સ્પર્ધા રહ્યા બાદ મોડેથી મતગણતરીમાં સમાજવાદી પાર્ટીએ લીડ મેળવી લીધી હતી. આ બંને સીટ પર સમાજવાદી પાર્ટી અને બસપ વચ્ચે ગઠબંધન તથા ઓછા મતદાનની અસર રહી હતી. ફુલપુર પેટાચૂંટણીમાં મોટા અંતરથી જીત હાસલ કરી હતી. નાગેન્દ્ર પટેલને અહીં ૫૯૬૧૩ મતે જીત મેળવી હતી. તેમને ૩૪૨૭૯૬ મત મળ્યા હતા જ્યારે ભાજપના કૌશલેન્દ્ર પટેલને ૨૮૩૧૮૩ મત મળ્યા હતા. ફુલપુરમાં ૩૧ રાઉન્ડથી વધુની મતગણતરી થઇ હતી. આ બંને સીટ ઉપર સપાએ જીત મેળવતા ભાજપને ફટકો પડ્યો છે. બિહારમાં જહાનાબાદ વિધાનસભા બેઠક પર આરજેડીના કૃષ્ણકુમાર મોહને જીત મેળવી હતી. અરેરિયામાં પણ આરજેડીએ જીત મેળવી છે જ્યારે ભભુઆ વિધાનસભા બેઠક પર ભાજપે જીત મેળવી છે. અગાઉ બિહાર અને ઉત્તરપ્રદેશમાં લોકસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામ આજે જાહેર થવાની શરૂઆત થઇ હતી. મતગણતરી શરૂ થયા બાદ સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે છેલ્લે સુધી સ્પર્ધા રહી હતી. પરિણામ આવ્યા બાદ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને ફટકો પડ્યો હતો. કારણ કે બંને બેઠક પર ભાજપની હાર થઇ છે.  ઉત્તરપ્રદેશ અને બિહારમાં પેટાચૂંટણી માટે  ૧૧મી માર્ચના દિવસે શાંતિપૂર્ણ માહોલમાં ઓછું મતદાન થયુ હતુ. ગોરખપુરમાં ૪૭.૪૫ ટકા અને ફુલપુરમાં ૩૭.૩૯ ટકા જેટલું ઓછું મતદાન થયું હતું. ૨૦૧૪માં ભાજપે બંને સીટો ઉપર મોટા અંતરથી જીત મેળવી હતી. ૨૦૧૪ લોકસભાની ચૂંટણીમાં ફુલપુરમાં ૫૦.૨૦ ટકા અને ગોરખપુરમાં ૫૪.૬૪ ટકા મતદાન થયું હતું.   બિહારમાં અરરિયા લોકસભા સીટ અને ભભુઆ તેમજ જેહાનાબાદ વિધાનસભાની તેમજ ઉત્તરપ્રદેશમાં ફુલપુર, ગોરખપુર લોકસભા બેઠક માટે મતદાન યોજાયુ હતુ.  અત્રે નોંધનીય છે કે  હાલમાં જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જોરદાર સપાટો બોલાવ્યો હતો. ગોરખપુરમાંથી ૧૦ અને ફુલપુરમાંથી ૨૨ ઉમેદવારોના ભાવિનો ફેસલો થઇ રહ્યો છે.  ભાજપે ફુલપુરમાંથી કૌશલેન્દ્રસિંહ પટેલ અને ગોરખપુરમાંથી ઉપેન્દ્ર દત્ત શુકલાને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે સમાજવાદી પાર્ટીએ પ્રવિણ નીસાદ અને નગેન્દ્ર પ્રતાપસિંહને મેદાનમાં ઉતાર્યા હતા.  ગોરખપુર સંસદીય બેઠકમાં ૯૭૦ મતદાન સેન્ટરો ઉભા કરવામાં આવ્યા હતા.૨૧૪૧ મતદાન મથકો પર મતદારો મોટી સંખ્યામાં મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા હતા.  ઉત્તરપ્રદેશના ફુલપુરમાં ૯૯૩ પોલીંગ સેન્ટરો અને ૨૦૫૯ મતદાન મથકો બનાવવામાં આવ્યા  હતા. ફુલપુર સંસદીય મતવિસ્તારમાં ૧૯૬૧ લાખ મતદારો અને ગોરખપુરમાં ૧૯.૪૯ લાખ મતદારો નોંધાયા હતા.

(7:47 pm IST)