રેલવેમાં નોકરી માટે તડાકો પડ્યોઃ ૯૦ હજાર જગ્યાઓ માટે ૧.પ કરોડ અરજી
નવી દિલ્હીઃ સરકારી નોકરીઓમાં ભરતી થવા માટે બેરોજગારો હંમેશા તલપાપડ હોય છે, અને તેમાં પણ રેલવેતંત્રની નોકરી માટે સૌ કોઇ દિવાસ્વપ્ન જોતા હોય છે. કેમ કે રેલવે દ્વારા કર્મચારીઓને આજીવન સુખ-સુવિધા અને ઉંચા પગારભથ્થા આપવામાં આવે છે. આથી જ રેલવે રીક્રુટમેન્ટ બોર્ડએ જાહેર કરેલી ૯૦,૦૦૦ જગ્યાઓ માટેની ભરતીમાં અધધધ ૧.પ કરોડ બેરોજગારોએ અરજીઓ કરી છે.
ગ્રૂપ-સી અને ગ્રૂપ-ડી કેટેગરીમાં રેલવેએ માસિક રૂૂ.18,000થી રૂૂ.60,000ના પગારની જોબ માટે અરજી મંગાવી હતી. અરજીની છેલ્લી તારીખ 31 માર્ચ હતી.
અરજદારોએ હવે જોબ મેળવવા ઓનલાઇન ટેસ્ટની સિરીઝ પાસ કરવાની રહેશે. રેલવે મંત્રાલયે ગ્રૂપ-ડી કેટેગરીની 63,000 જોબ માટે નોટિફિકેશન ઇશ્યૂ કર્યું હતું. ત્યાર પછી લોકો પાઇલટ્સ અને આસિસ્ટન્ટ લોકો પાઇલટ્સ માટે 26,500 જોબનું વધુ એક નોટિફિકેશન જારી કરવામાં આવ્યું હતું.
નોકરી માટે ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત હાઈસ્કૂલ પાસ અને ITI ડિપ્લોમા હતી. એક વરિષ્ઠ રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતીય રેલવેની કોઈ પણ કેટેગરી માટે મળેલી આ સૌથી વધુ અરજી છે.