આસામના ડિટેન્શન સેન્ટરના સ્ટેટસ રિપોર્ટ જાહેર કરવા સુપ્રિમકોર્ટનો સરકારને આદેશ
સરકારને પૂછ્યું કે જે લોકોએ ડિટેન્શન સેન્ટરમાં 3 વર્ષ પૂર્ણ કર્યા છે શું તેમને છોડવામાં આવ્યા છે કે નહીં.
નવી દિલ્હી : નાગરિકતા સંશોધન કાયદો અને નેશનલ રજીસ્ટર ફોર સિટિઝનને લઇને દેશભરમાં ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે. આસામમાં એનઆરસીની પ્રક્રિયા બાદ બનાવવામાં આવેલા ડિટેન્શન સેન્ટરને લઇને કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેના પર સુનાવણી કરતા કોર્ટે કેન્દ્રને આ મામલે સ્ટેટસ રિપોર્ટ જાહેર કરવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે સરકારને પૂછ્યું કે જે લોકોએ ડિટેન્શન સેન્ટરમાં 3 વર્ષ પૂર્ણ કર્યા છે શું તેમને છોડવામાં આવ્યા છે કે નહીં.
સુપ્રીમ કોર્ટે સરકાર પાસેથી ડિટેન્શન સેન્ટરમાં રહેલા લોકોની સંખ્યા તેમજ તેમની સ્થિતિની વિસ્તૃત જાણકારી આપવા જણાવ્યું છે. કોર્ટ તરફથી કહેવામાં આવ્યું કે 3 વર્ષથી ડિટેન્શન સેન્ટરમાં રહેતા લોકોને એક લાખથી વધુની જામીનની રકમ આપવા પર જામીન આપી શકાય છે. આ ઉપરાંત જે-તે વ્યક્તિએ અઠવાડિયામાં એક દિવસ સ્થાનિક પોલીસ સામે હાજર પણ થવું પડશે. સમગ્ર મામલે વધુ સુનાવણી હવે હોળીની રજાઓ બાદ હાથ ધરાશે