મુખ્ય સમાચાર
News of Friday, 14th February 2020

નિર્ભયા કેસ : વિનયની અરજી ફગાવી દેવાઈ, સુનાવણી ટળી

જસ્ટિસ ભાનુમતિ બેભાન થતાં સુનાવણી ટળી : રાષ્ટ્રપતિ દ્વારા દયાની અરજી ફગાવી દેવા માટેના હુકમને પડકાર ફેંકી વિનયની અરજી સુપ્રીમ કોર્ટે આખરે ફગાવી

નવીદિલ્હી, તા. ૧૪ : સુપ્રીમ કોર્ટે આજે નિર્ભયા સામૂહિક બળાત્કાર અને હત્યા મામલામાં મૃત્યુદંડની સજાનો સામનો કરી રહેલા અપરાધી વિનયકુમારની અરજીને ફગાવી દીધી હતી. વિનય કુમારે રાષ્ટ્રપતિ દ્વારા તેની દયાની અરજીને ફગાવી દેવામાં આવ્યા બાદ આ આદેશને પડકાર ફેંકીને અરજી દાખલ કરી હતી. જસ્ટિસ આર ભાનુમતિ, જસ્ટિસ અશોક ભુષણ, જસ્ટિસ એસ બોપન્નાની બનેલી બેંચે વિનયકુમારની અરજીને ફગાવી દઇને કહ્યું હતું કે, તેમાં દયા અરજી ફગાવી દેવાના આદેશની ન્યાયિક સમીક્ષા માટે કોઇ આધાર નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિની સમક્ષ શર્માની મેડિકલ રિપોર્ટ સહિત તમામ સામગ્રી રજૂ કરવામાં આવી હતી. દયા અરજી ફગાવી દેતી વેળા તમામ વિકલ્પો પર વિચારણા કરવામાં આવી હતી. સુપ્રીમે કહ્યું હતું કે, મેડિકલ રિપોર્ટને ધ્યાનમાં લઇને શર્માની દલીલને ફગાવી દેવામાં આવી હતી કે, તેની માનસિક સ્થિતિ સારી નથી. રિપોર્ટ મુજબ તેની તબિયત બિલકુલ સારી છે.

         સુપ્રીમ કોર્ટમાં દોષિત વિનયકુમારનું પ્રતિનિધિત્વ કરનાર એડવોકેટ એપી સિંહે દયાની અરજી ફગાવી દેવાના રાષ્ટ્રપતિના નિર્ણય પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. આના ઉપર કોર્ટ અને સોલીસીટર જનરલ તુષાર મહેતાએ જોરદાર પ્રતિક્રિયા આપી હતી. તુષાર મહેતા કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. સિંહે દોષિત વિનયની માનસિક સ્થિતિમાં દલીલો આપી હતી. ફાંસી ટાળવાના પ્રયાસ થઇ રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, નિચલી કોર્ટે ૩૧મી જાન્યુઆરીના દિવસે આગામી આદેશ સુધી ચારેય અપરાધીઓની ફાંસી ઉપર રોક લગાવી દીધી હતી. ચારેય અપરાધી તિહાર જેલમાં છે. નિર્ભયાના મામલામાં ડેથ વોરંટ નવેસરથી જારી કરવાની માંગ સતત ઉઠી રહી છે. આજે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના જજ ભાનુમતિની તબિયત ખરાબ થઇ ગઈ હતી અને તેઓ બેભાન થઇ ગયા હતા. જસ્ટિસ ભાનુમતિને મહિલા સ્ટાફની મદદથી તેમના ચેમ્બરમાં લઇ જવામાં આવ્યા હતા. જજ બેભાન થવાના કારણે કેન્દ્રની અરજી પર સુનાવણી ટળી ગઈ હતી. જસ્ટિસ ભાનુમતિ આ કેસમાં દોષિતોને જુદી જુદી રીતે ફાંસીની માંગ કરી રહી છે. ગઇકાલે પણ ચાર અપરાધીઓ પૈકી એક વિનય શર્માની અરજી પર ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. નિર્ભયાના મામલામાં અપરાધીઓને ફાંસી ક્યારે થશે તેને લઇને ભારે સનસનાટીપૂર્ણ સ્થિતિ બનેલી છે અને ચુકાદો આવી રહ્યો નથી.

(8:02 pm IST)