મુખ્ય સમાચાર
News of Friday, 14th February 2020

રાજયસભામાં બિલ મુકાયું

બે બાળકો ધરાવતા લોકોને જ મળે ટેકસમાં છૂટનો લાભઃ રાજયસભામાં બિલ મૂકાયું

નવી દિલ્હી, તા.૧૪: દેશની વધતી વસ્તી દેશ માટે સતત પડકાર બની રહી છે. આ પડકારને ધ્યાનમાં રાખીને શિવસેના રાજયસભાના સાંસદ અનિલ દેસાઇએ એક પ્રાઇવેટ બિલ લાવ્યાં છે જેમાં દેશના માત્ર બે બાળકોની નીતિને પ્રોત્સાહન આપવા અપીલ કરવામાં આવી છે. આ માટે બંધારણમાં સુધારો કરવાનું કહેવામાં આવ્યું છે. અનિલ દેસાઈના આ બિલ પર બજેટના સત્રાર્ધ દરમિયાન ચર્ચા કરવામાં આવશે.

વસ્તી નિયંત્રણ અંગે લાંબા ગાળાના નક્કર નિર્ણયો માટે અપીલ કરવામાં આવી છે. જો કે, સરકાર દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી. સંસદમાં, કોઈપણ સાંસદ ખાનગી બિલ લાવી શકે છે જે શુક્રવારે રજૂ થાય છે. બજેટ સત્રમાં વિરામ ચાલુ છે, પરંતુ જયારે સત્રનો બીજો ભાગ શરૂ થશે, ત્યારે તેની ચર્ચા થઈ શકે છે. બજેટ સત્રના પહેલા ભાગના અંતિમ દિવસે અનિલ દેસાઇએ આ બિલ રજૂ કર્યું હતું. જો કે, આવી દરખાસ્તો પહેલા પણ આવી ચુકી છે, પરંતુ આવા કાયદાને દ્યણા રાજકીય પક્ષો અને સંગઠનો દ્વારા મુસ્લિમ વિરોધી માનવામાં આવ્યા છે.

અનિલ દેસાઈએ એક અંગ્રેજી અખબારને જણાવ્યું છે કે તેમણે આ બિલ માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને પાર્ટીના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરે સાથે પણ વાત કરી હતી. આવી સ્થિતિમાં મહારાષ્ટ્ર સરકારમાં શિવસેનાના ભાગીદાર કોંગ્રેસ અને એનસીપીની પ્રતિક્રિયા છે તે જોવું રસપ્રદ રહેશે.

આ બિલ રજૂ કરતી વખતે અનિલ દેસાઇએ બંધારણમાં કેટલાક સુધારાની માગ કરી છે. જેમાં બંધારણની કલમ ૪૭માં પરિવર્તન જરૂરી રહેશે. બિલમાં દરખાસ્ત કરવામાં આવી છે કે વધતી વસ્તીને નિયંત્રિત કરવા માટે, ટેકસમાં છૂટ, ધંધો, શિક્ષણ પ્રોત્સાહન એવા નાગરિકોને આપવું જોઇએ જેમણે કુટુંબ બે બાળકો સુધી મર્યાદિત રાખ્યું છે. જે લોકો ધારાધોરણોનું પાલન કરતા નથી તેમને લાભ નહીં મળે. ભારતની વસ્તી હજી પણ ૧૩૦ કરોડથી વધુ છે જે વિશ્વમાં બીજા નંબર પર છે.

(10:04 am IST)