દેશના ગદ્દાર જેવા નિવેદનથી દિલ્હીમાં નુકસાન થયું : શાહ
સીએએ પર તમામ સાથે વાત કરવા તૈયારઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના કેટલાક નેતાની જીભ લપસી જવાથી ફટકો : ભાજપના નામને લઇ વિરોધ
નવીદિલ્હી, તા. ૧૩: દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આજે પ્રથમ વખત જાહેરમાં આવ્યા હતા અને દિલ્હી ચૂંટણીમાં હારને લઇને પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભાજપના કેટલાક નેતાઓની જીભ લપસી ગઈ હતી અને વિવાદાસ્પદ નિવેદન કર્યા હતા. ચૂંટણી પંચે તેમના પ્રચાર પર પ્રતિબંધ મુક્યા હતા. અમિત શાહે કહ્યું હતું કે, આવા નિવેદનના કારણે પાર્ટીને નુકસાન થયું છે. દિલ્હીમાં સરકાર બનાવવાનું સપનું રોળાઈ ગયું છે. તમામ લોકો જાણે છે કે, પ્રચાર દરમિયાન ભાજપ નેતા અને નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે દેશના ગદ્દારો જેવા નિવેદન કરીને હોબાળો મચાવી દીધો હતો. જો કે તેમણે કહ્યું હતું કે, ભાજપ નેતાઓના નિવેદનને જે રીતે જોરશોરથી દર્શાવવામાં આવ્યા હતા તેના લીધે પણ નુકસાન થયું હતું. સીએએને લઇને પણ વાત કરી હતી. શાહે કહ્યું હતું કે, જે કોઇપણ વ્યક્તિને આને લઇને વાંધો છે તે તેમની સાથે તેઓ વાતચીત કરવા તૈયાર છે. આવનાર લોકોને ત્રણ દિવસની અંદર સમય આપવામાં આવશે. પ્રદર્શનના સંદર્ભમાં શાહે કહ્યું હતું કે, આમા આ જોવાની બાબત પણ જરૂરી છે કે, આ પ્રદર્શન કોના દ્વારા અને કયા સ્તર પર થઇ રહ્યા છે. તેમને એવી કોઇ વ્યક્તિ મળી નથી જે સમજાવી શકે કે સીએએની કઇ જોગવાઈ હેઠળ તેમને આ કાનૂન મુસ્લિમ વિરોધી લાગે છે. આ વિરોધ માત્ર ભાજપના નામ પર વિરોધ થઇ રહ્યો છે. શાહે કહ્યું હતું કે, દહેશતના નામ ઉપર ક્યારે પણ આંદોલન હોઈ શકે નહીં જ્યારે એનઆરસી આવશે ત્યારે વિરોધ કરવાની જરૂર રહેશે. શાહે કહ્યું હતુ કે, અગાઉની કોંગ્રેસ અને જનતા પાર્ટીની સરકારો હિન્દુ અને સીખોને લોંગ ટર્મ વિઝા આપી ચુકી છે. આ કામ કોંગ્રેસ કરે છે તો સેક્યુલર થાય છે અને ભાજપ કાનૂન બનાવે છે ત્યારે ખોટા કઇ રીતે બની જાય છે તેને લઇને પણ પ્રશ્નો કર્યા હતા. પાકિસ્તાનથી આવેલા ૭૪ લઘુમતિઓને રાજસ્થાનના જોધપુર, જેસલમેરના કલેક્ટરોએ સીએએ આવ્યા બાદ નાગરિકતા આપી છે ત્યાં કોંગ્રેસ પાર્ટીની સરકાર છે પરંતુ અમારા મન બિલકુલ શુદ્ધ રહેલા છે. કલમ ૩૭૦ના મુદ્દે ઓમર અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તીને લાંબા સમય સુધી નજરકેદ કેદમાં રાખવાના પ્રશ્ન પર શાહે કહ્યું હતું કે, આ સ્થાનિક વહીવટીતંત્રનો નિર્ણય છે. કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય છે. કોઇપણ જઇ શકે છે.