ત્રાસવાદીઓનું શું થયુ : મેજર અભિજીતે તરત જ કરેલ પ્રશ્ન
સર્જરી બાદ ભાનમાં આવતા સાહસી જવાનનો પ્રશ્ન : સુંજવાન આર્મી કેમ્પ ઉપર ત્રાસવાદી હુમલા દરમિયાન ગંભીરરીતે ઘાયલ અભિજીત ત્રણ દિન સુધી બેભાન હતા
જમ્મૂ,તા. ૧૩ : જમ્મુના સુંજવાન આર્મી કેમ્પ ઉપર ત્રાસવાદી હુમલા દરમિયાન ઘાયલ થયેલા સાહસી જવાનનો રોમાંચક કિસ્સો સપાટી ઉપર આવ્યો છે. ત્રાસવાદીઓ સામે જીવસટોસટના જંગ દરમિયાન ઘાયલ થયેલા જવાનો પૈકીના મેજર અભિજીતને ગંભીર ઇજા થઇ હતી. સુંજવાન લશ્કરી કેમ્પ પર હુમલા દરમિયાન ઘાયલ થયા બાદ તે સારવાર હેઠળ હતા. ૩-૪ દિવસ દરમિયાન બહારની દુનિયા સાથે તેમને કોઇ લેવાદેવા ન હતા. કોઇ માહિતી લેવાની સ્થિતિમાં પણ ન હતા. સર્જરી બાદ ભાનમાં આવ્યા બાદ મેજર અભિજીતે પહેલો પ્રશ્ન એ જ કર્યો હતો કે, આતંકવાદીઓનું શું થયું. મેજર અભિજીતની સારવાર ઉધમપુરની આર્મી હોસ્પિટલમાં ચાલી રહી છે. ઉધમપુર કમાન્ડ હોસ્પિટલના કમાન્ડેડ મેજર જનરલ નદીપ નેથાનીએ કહ્યું છે કે, અભિજીતનો આત્મવિશ્વાસ અભૂતપૂર્વ છે. સર્જરી બાદ તરત ભાનમાં આવ્યા બાદ પહેલો પ્રશ્ન ત્રાસવાદીઓનું શું થયું તેવો કર્યો હતો. મેજરના આરોગ્યમાં ઝડપથી સુધારો થઇ રહ્યો છે. મેજર ફરીથી ઝડપથી સેવા બજાવવા માટે ઇચ્છુક છે. મેજર અભિજીતે સારવાર દરમિયાન પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું હતું કે, તેમની તબિયત સુધારા ઉપર છે. તબીબો સાથે વાત કરવાન સ્થિતિમાં પણ છે. પોતે ચાલી પણ રહ્યા છે. ઘાયલ થયા બાદ તેમની હાલત ગંભીર હતી.
અત્રે નોંધનીય છે કે, શનિવારના દિવસે સુંજવાન આર્મી કેમ્પ ઉપર ભીષણ હુમલો કરવામાં આવ્યા બાદ ઓપરેશન લાંબુ ચાલ્યું હતું. આમા હજુ સુધી છ જવાન શહીદ થઇ ચુક્યા છે.