નરેન્દ્રભાઈ સાથે અનેકવિધ બાબતોની ચર્ચા કરતા વિજયભાઈ
નવી દિલ્હી : ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બે દિવસના દિલ્હીના પ્રવાસ દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળ્યા હતા. ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિની સાથે આગામી દિવસોમાં ઉભી થનારી પાણીની કટોકટીની સ્થિતિ અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રાજયમાં પીવાના પાણીની અછત મુદ્દે કેન્દ્ર દ્વારા તમામ પ્રકારની મદદ કરવા માટેની ખાતરી વડાપ્રધાને આપી હતી તેમ જાણવા મળ્યુ છે. ખાસ કરીને ગુજરાતમાં ફરીથી રચાયેલી રૂપાણી સરકારની કામગીરી અને મંત્રીઓ તથા સંગઠનના આગેવાનોની ગતિવિધિઓ મુદ્દે પણ બંને વચ્ચે વિસ્તારપૂર્વક વાત થઈ હતી તેમ મનાય છે. નરેન્દ્રભાઈના ૨૫ ફેબ્રુઆરીના સુરત - ગુજરાતના કાર્યક્રમ અંગે પણ વડાપ્રધાને ચર્ચા કરી હતી.
શ્રી રૂપાણી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ સાથે પણ મુલાકાત કરશે. જયારે ગઈકાલે વિજયભાઈ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને પણ મળ્યા હતા. તાજેતરમાં જ મધ્યપ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલ પણ નરેન્દ્રભાઈ મળ્યા હતા.