મુખ્ય સમાચાર
News of Thursday, 14th January 2021

સમિતિ બાબતે કોઈને પણ સાંભળવા સુપ્રીમનો ઈનકાર

૪ સભ્યોની કમિટિની નિમણૂંક પર સુપ્રીમ કૉર્ટેની સ્પષ્ટતા : કૃષિ કાયદા પર કમિટિનું સ્વરૂપ સૌને સ્વીકાર્ય હોવાના અભિપ્રાય પર સીજેઆઈએ તેમનું વલણ સ્પષ્ટ કરી દીધું

નવી દિલ્હી, તા. ૧૩ : સુપ્રીમ કૉર્ટે ત્રણેય નવા કૃષિ કાયદાઓના અમલ પર સ્ટે લગાવી દીધો છે. અદાલતે ૪ સભ્યોવાળી એક સમિતિનું ગઠન કર્યું છે, જે આ કાયદા ને વિસ્તૃત રીતે ચકાસશે. કમિટીએ જોશે કે કઈ જોગવાઈ ખેડૂતોના હિતમાં છે. બે મહિનામાં કમિટીની રિપોર્ટ સુપ્રીમ કૉર્ટને સોંપવામાં આવશે. સીજેઆઈ એસએ બોબડે, જસ્ટિસ એએસ બોપન્ના અને જસ્ટિસ વી રામસુબ્રમણ્યમની ખંડપીઠે કહ્યું કે કમિટી સરકાર સહિત તમામ હિતધારકોની વાત સાંભળશે. જ્યારે કેટલાક વકીલોએ કહ્યું કે કમિટીનું સ્વરૂપ સૌને સ્વીકાર્ય હોવું જોઈએ તો સીજેઆઈએ વલણ સ્પષ્ટ કરી દીધું.

તેમણે કહ્યું કે, એક સારી સમિતિ કેવી હોય, અમે આના પર સૌના વિચાર નહીં સાંભળીએ. અમે નક્કી કરીશું કે એ સમિતિમાં કોણ કોણ હશે જે અમને મુદ્દા પર નિર્ણયમાં મદદ કરશે. સુપ્રીમ કૉર્ટની સમિતિમાં ભૂપિન્દર સિંહ માન-ભારતીય કિસાન યૂનિયનના અધ્યક્ષ, અનિલ ધનવત-શેતકારી સંગઠનના અધ્યક્ષ, ડૉ. પ્રમોદ જોશી-દક્ષિણ એશિયાના આંતરરાષ્ટ્રીય ખાદ્ય નીતિ તેમજ ઈન્ટરનેશનલ ફૂડ પોલીસી એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના નિર્દેશક, અશોક ગુલાટી-કૃષિ અર્થશાસ્ત્રી તથા કૃષિ યોજના અને કિંમતોના પૂર્વ અધ્યક્ષ.

બેન્ચે પોતાના આદેશમાં એ પણ કહ્યું કે, કૃષિ કાયદો લાગુ થવાથી પહેલાની ન્યૂનતમ સમર્થન મૂલ્ય પ્રમાણે આગામી આદેશ સુધી લાગુ રહેશે. આ ઉપરાંત ખેડૂતોની જમીનના માલિકીના હકની સુરક્ષા હશે, મતલબ નવા કાયદા અંતર્ગત કરવામાં આવેલી કોઈ પણ કાર્યવાહીમા પરિણામ સ્વરૂપ કોઈ પણ ખેડૂતને બેદખલ અથવા માલિકીના હકથી વંચિત નહીં કરવામાં આવે. આ મામલે હવે ૮ અઠવાડિયા બાદ સુનાવણી થશે.

ખંડપીઠે વધુમાં જણાવ્યું હતું કે, "દિલ્હીમાં કમિટીને સરકાર કાર્યકારી જગ્યા અને સચિવાલય સહાય પૂરી પાડશે. દિલ્હી અથવા અન્યત્ર બેઠકની બેઠકનો તમામ ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે. તમામ ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ ભલે તે પ્રદર્શન કરે છે કે નહીં અને તે આ ચર્ચાઓમાં ભાગ લેશે અને કાયદાના સમર્થનમાં હોય કે વિરુધ્ધ, પોતાનો અભિપ્રાય વ્યક્ત કરશે.  સુપ્રીમે તેના વચગાળાના આદેશમાં જણાવ્યું છે કે સમિતિની પ્રથમ બેઠક મંગળવાર (૨૨ જાન્યુઆરી)થી ૧૦ દિવસની અંદર યોજાશે. ખંડપીઠને આશા હતી કે વિરોધ કરી રહેલા ખેડુતોએ ધરણા પૂરા કરી પાછા ફરશે અને સમિતિના અહેવાલ અને કોર્ટના નિર્ણયની રાહ જોશે.

(12:00 am IST)