અર્થવ્યવસ્થાના સુધારાની અસર નોકરીમાં ન જોવા મળીઃ ડિસેમ્બર કવાર્ટરના રોજગારના આંકડામાં ઘટાડો
નવી દિલ્હીઃ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના સતત ત્રીજા કવાર્ટરમાં દેશની અંદર રોજગારમાં ઘટાડો નોંધાયો છે. થિંક ટેન્ક સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમી (CMII)ના એક અભ્યાસ મુજબ ઓકટોબરપ્રડિસેમ્બર કવાર્ટરના રોજગારમાં ૨.૮ ટકાનો ઘટાડો નોંધાયો છે.
માર્ચમાં શરૂ થયેલ લોકડાઉનથી નાણાંકીય વર્ષના પહેલા કવાર્ટર (એપ્રિલ-જૂન)માં રોજગારની સ્થિતિ ઘણી વિકટ જોવા મળી. આ દરમિયાન દેશમાં રોજગારનો દર ૧૮.૪ ટકા સુધી ઘટી ગયો. ત્યારબાદ અર્થવ્યવસ્થાને અનલોક કરવામાં આવતા પરિસ્થિતિમાં થોડો સુધારો જોવા મળ્યો અને રોજગારના દરમાં ૨.૬ ટકાના ઘટાડા સુધી પહોંચી ગયો.
દેશમાં આર્થિક પરિસ્થિતિ દિવસે ને દિવસે સતત સારી થઇ રહી છે, તેમ છતાં નોકરી પર તેની અસર એટલી જોવા મળી રહી નથી. CMIIના સીઇઓ મહેશ વ્યાસે કહ્યું કે સરકારનું અનુમાન હતું કે ચાલુ નાણાંકીય વર્ષના બીજા કવાર્ટર (ઓકટોબર-માર્ચ) માં અર્થવ્યવસ્થામાં સુધારો થશે. પરંતુ માર્કેટમાં નોકરીઓ પર તેની અસર જોવા મળી રહી નથી. સરકારને આશા છે કે બીજા છ મહીનામાં અર્થવ્યવસ્થા વધુ ઘટશે નહીં. ગત નાણાંકીય વર્ષના એપ્રિલ-સપ્ટેમ્બર છ મહિનાની સરખામણીમાં આ નાણાંકીય વર્ષના પહેલા છ મહીનામાં દેશનો રીયલ GDPમાં ૧૫.૭ ટકા ઘટાડો જોવા મળ્યો હતો.
નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦માં દેશમાં કુલ રોજગારના ૩૨ ટકા શહેરી વિસ્તારોમાંથી હતો. જ્યારે ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન ડિસેમ્બર ૨૦૨૦ના અંત સુધી શહેરી વિસ્તારમાં ૩૪ ટકા નોકરીઓ ઘટી છે. આ પ્રકારે દેશના કુલ કર્મચારીઓમાં મહિલાઓની ભાગીદારી ૧૧ ટકા છે, પરંતુ તેની વચ્ચે ૫૨ ટકા નોકરીઓમાં ઘટાડો થયો છે.
ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટની નોકરીની સ્થિતિ પણ સારી નથી. દેશના કુલ કર્મચારીઓમાં ૨૦૧૯-્ર૨૦ દરમિયાન તેમની ભાગીદારી ૧૨ ટકા હતી, પરંતું ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન ડિસેમ્બરના અંત સુધીમાં તેઓ વચ્ચે નોકરી જવાનો દર ૬૫ ટકા છે.
દેશના કુલ કર્મચારીઓમાં પગારદાર (સેલેરાઇઝડ) કર્મચારીઓનો ભાગ ૨૧ ટકા છે. પરંતુ આ શ્રેણીમાં રોજગાર જવાની સ્થિતિ પણ વિકટ છે. પગારદાર કર્મચારીઓની સંખ્યામાં ચાલૂ નાણાંકીય વર્ષ દરમિયાન ડિસેમ્બર સુધી ૭૧ ટકાનો ઘટાડો નોંધાયો.