૨૬મીએ કિસાન પરેડ માટે ખેડૂતો મક્કમ
હવે ૧૫મીએ સરકાર-ખેડૂતો વચ્ચે મંત્રણા થશે કે નહિ? સસ્પેન્સઃ કમીટી સાથે ચર્ચા કરાશે?
નવી દિલ્હી, તા.૧૩: સુપ્રીમ કોર્ટ દ્વારા ત્રણે કૃષિ કાનૂનો પર સ્ટે અને ચાર સભ્યોની સમિતિની રચના પછી કેન્દ્ર અને કિસાન સંગઠનો વચ્ચે ૧૫ જાન્યુઆરીએ થનારી વાતચીત બાબતે અનિશ્ચિતતા પરિસ્થિતી ઉભી થઇ છે. જો કે મંત્રાલય તરફથી આ બાબતે ઓફીશ્યલી કંઇ નથી કહેવાયું પણ મીડીયા રીપોર્ટસ અનુસાર, સરકાર સાથે જોડાયેલા સુત્રોનું કહેવું છે કે સરકાર પહેલા સુપ્રીમ કોર્ટના આદેશને વાંચશે. ત્યારપછી વકીલની સલાહના આધારે સરકાર આગામી પગલું લેશે. સાથે જ આગામી મીટીંગ અંગે પણ કંઇક કરી શકાશે.
ઇન્ડીયન એકસપ્રેસના રીપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા ખેડૂતોની વ્યથાને સાંભળવા માટે સમિતિની રચના કરાયા પછી સરકાર દ્વારા સમાંતર વાતચીતનો કોઇ અર્થ નથી. આ પહેલા કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમરના નેતૃત્વમાં ત્રણ પ્રધાનોની કમિટી ખેડૂત યુનિયનના પ્રતિનિધીઓ સાથે વાતચીત કરી રહી હતી. બન્ને વચ્ચે ૮ તબક્કાની વાચચીત પછી પણ કોળ નક્કર સમાધાન નહોતું થઇ શકયું. છેલ્લે ૮ જાન્યુઆરી થયેલ મીટીંગમાં બંને પક્ષો ૧૫ જાન્યુઆરીએ નવી વાતચીત માટે સહમત થયા હતા.
કિસાન સંગઠનોએ મંગળવારે કહ્યું કે તેઓ કોર્ટ દ્વારા રચવામાં આવેલી સમિતિ સમક્ષ નહીં જાય અને તેમણે આક્ષેપ કર્યો કે તે સરકાર સમર્થક સમિતિ છે. ખેડૂત સંગઠનોએ કહ્યું મે ત્રણે કૃષિ કાનૂનોને પાછા ખેંચવાથી ઓછું કંઇ અમને મંજૂર નથી. તેમણે સમિતિના રાજયોની નિષ્પક્ષતા પર પણ શંકા વ્યકત કરી છે જો કે કૃષિ કાનૂનો પર સ્ટે મૂકવાના સુપ્રિમના નિર્ણયને તેમણે આવકાર્યો હતો.
કિસાન નેતા બલબીરસિંહ રાજેવાલે કહ્યું કે અમે સૈધ્ધાંતિક રીતે આ સમિતિની વિરૂધ્ધ છીએ. આંદોલન પરથી ધ્યાન ભટકાવવાની આ સરકારની ચાલ છે. તેમણે કહ્યું કે ખેડૂતો ૨૬ જાન્યુઆરીની પોતાની પ્રસ્તાવિત 'કિસાન પરેડ' કાર્યક્રમનો અમલ કરશે અને તેઓ રાષ્ટ્રીય રાજધાનીમાં પહોંચશે. ભારતીય કિસાન સંઘના નેતા રાકેશ ટિકૈતે ટવીટર પર આક્ષેપો કર્યા કે સુપ્રિમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી સમિતિના સભ્યો ખુલ્લી બજાર વ્યવસ્થા અથવા ત્રણે કૃષિ કાનુનોના સમર્થક છે.
સુપ્રિમ કોર્ટે આ પહેલા નવા આદેશ સુધી વિવાદાસ્પદ કૃષિકાનૂનોને લાગુ કરવા પર સ્ટે મુકયો હતો અને આંદોલનકારી ખેડૂત સંગઠનો વચ્ચે ચાલતા ગતિરોધને ખતમ કરવા ચાર સભ્યોની સમિતિની રચના કરી હતી. આ સમિતિમાં બીકેયુના પ્રમુખ ભૂપિંદરસિંહ માન, શેતકારી સંગઠન (મહારાષ્ટ્રના પ્રમુખ) અખિલ ધનાવત, આંતરરાષ્ટ્રીય ખાદ્ય નીતિ શોધ સંસ્થાન દક્ષિણ એશીયાના ડાયરેકટર પ્રમોદકુમાર જોષી અને કૃષી અર્થશાસ્ત્રી અશોક ગુલાટી સામેલ છે.