મુખ્ય સમાચાર
News of Wednesday, 13th January 2021

કાળુ નાણુ રાખનારનું નામ જણાવો ને મેળવો પ કરોડ

કાળા નાણા રાખનારની હવે ખેર નથીઃ નામ આપનારની ઓળખ ગુપ્‍ત રખાશે

નવી દિલ્‍હી, તા.૧૩: દેશમાં નાના મોટા અનેક વેપારીઓ ટેક્‍સ ચોરી કરતા હોવાનું ઘણીવાર ઇન્‍કમ ટેક્‍સની રેડમાં સામે આવ્‍યું છે. હવે આ ટેક્‍સ ચોરીને ઓછી કરવા માટે સીબીડીટીએ કહ્યું છે કે ‘કરચોરી અથવા બેનામી સંપત્તિ હોલ્‍ડિંગ અંગેની માહિતી આપતી લિંક' પર જઈને જો કઈ વ્‍યક્‍તિ આ અંગે જાણ કરશે તો તેની ગુપ્તતા જાળવવામાં આવશે અને તેને ઇનામ આપવામાં આવશે. આ માટે ઇ-ફાઇલિંગ પોર્ટલ https://www.incometaxindiaefiling.gov. in શરૂ કરવામાં આવી છે. આ નવી સુવિધામાં કોઈપણ વ્‍યક્‍તિ ‘બાતમીદાર' પણ બની શકે છે અને તે ઈનામ મેળવવા માટે પણ હકદાર રહેશે.

વધુ વિગતે જણાવીએ તો, આવકવેરા વિભાગે નવી ‘ઓનલાઇન' સુવિધા શરૂ કરી છે, જેના દ્વારા કોઈ પણ વ્‍યક્‍તિ સરકારને ગેરકાયદેસર સંપત્તિ, બેનામી સંપત્તિ અથવા વિદેશમાં કોઈપણ વ્‍યક્‍તિ અથવા કંપનીની કરચોરી અંગેની માહિતી આપી શકે છે. સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્‍ટ ટેક્‍સ (સીબીડીટી) એ મંગળવારે આ વાત કહી. સીબીડીટીએ જણાવ્‍યું છે કે તેના ઈ-ફાઇલિંગ પોર્ટલ https://www.incometaxindiaefiling.gov. in  પર, ‘કરચોરી અથવા બેનામી સંપત્તિ હોલ્‍ડિંગ વિશે માહિતી આપતી કડી' સોમવારે ખુલી ગઈ છે.

આ સુવિધા હેઠળ, જે વ્‍યક્‍તિ પરમેનન્‍ટ એકાઉન્‍ટ નંબર (પાન) અથવા આધાર નંબર ધરાવે છે અથવા જેની પાસે પાન અથવા આધાર પણ નથી, તે ફરિયાદ નોંધાવી શકે છે. આ ઓનલાઇન સુવિધામાં, ઓટીપી આધારિત કાયદેસરતાની પ્રક્રિયા હેઠળ કોઈ પણ વ્‍યક્‍તિ આવકવેરા કાયદો ૧૯૬૧ના ઉલ્લંઘન, અપ્રગટ મિલકત કાયદો અને બેનામી ટ્રાંઝેક્‍શન અવગણના કાયદાના અંતર્ગત ત્રણ જુદા જુદા સ્‍વરૂપોમાં ફરિયાદ દાખલ કરી શકાય છે.

ફરિયાદ નોંધાયા પછી, વિભાગ દરેક ફરિયાદ માટે એક અનોખો નંબર આપશે અને તેનાથી ફરિયાદી આ વેબલિંક પર પોતાના દ્વારા કરવામાં આવેલી ફરિયાદ પર અત્‍યાર સુધીમાં શું કાર્યવાહી કરવામાં આવી છે તેની સ્‍થિતિ જોઈ શકશે. આ નવી સુવિધામાં, કોઈપણ વ્‍યક્‍તિ ‘બાતમીદાર' પણ બની શકે છે અને તે ઈનામ માટે પણ હકદાર રહેશે. હાલમાં અમલમાં આવેલી યોજના મુજબ બેનામી સંપત્તિના મામલામાં એક કરોડ રૂપિયા અને કાળા નાણાં વિદેશમાં રાખવા સહિતના કરચોરીના મામલામાં પાંચ કરોડ રૂપિયા સુધી આપવાની જોગવાઈ છે.

આ પોલિસી પર કામ કરનારા બોર્ડ (CBDT)ના એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે બેનામી સંપત્તિના મામલે બાતમીદારને ઓછામાં ઓછી ૧૫ લાખ અને વધુમાં વધુ ૧ કરોડની ઇનામી રકમ આપવામાં આવશે. જયેર વિદેશમાં બ્‍લેક મની મામલે જાણકારી આપનાર વ્‍યક્‍તિને વધુમાં વધુ ૫ કરોડ રુપિયા સુધીનું ઈનામ મળી શકે છે. અધિકારીએ જણાવ્‍યું કે બેનામી સંપત્તિની જાણકારી એકદમ સ્‍પષ્ટ હોવી જોઇએ તેમજ માહિતી આપનારની જાણકારી ગુપ્ત રાખવામાં આવશે.

(1:11 pm IST)