જમ્મુ-કાશ્મીરના કુપવાડાના માછિલ સેક્ટરમાં હિમપ્રાતના કારણે ૩ જવાન શહીદ
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં સતત થઈ રહેલો બરફનો વરસાદ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. કુપવાડાના માછિલ સેકટરમાં હિમપ્રાતના કારણે 3 જવાન શહીદ થયા છે. જ્યારે એક જવાન ગુમ છે. માછિન સેકટરમાં સેનાની ઘણી ચોકીઓને હિમપ્રાતના કારણે નુકસાન થયું છે. સેનાના સૂત્રોના જણાવ્યા મુજબ આવી જ એક ચોકીમાં સેનાના 5 જવાનો ફસાયેલા છે. ઘાટીમાં હિમપ્રાતના કારણે 5 લોકોના મત્યુ થયાના પણ સમાચાર છે. રામપુર અને ગુરેજ સેકટરમાં પણ હિમપ્રાતની ઘણી ઘટનાઓ બની છે.
છેલ્લા 48 કલાકમાં ભારે બરફના વરસાદના કારણે ઉત્તર કાશ્મીરમાં ઘણી જગ્યાએ હિમપ્રાતની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. તેમાં 3 સૈનિકોના શહીદ થયા છે. જ્યારે એક સૈનિક હજી પણ ગુમ છે. સેનાના સૂત્રોના જણાવ્યા મુજબ હિમપ્રાતમાં ફસાયેલા ઘણા જવાનોને બચાવવામાં પણ આવ્યા છે.
આ સિવાય મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં સોનમર્ગના ગગ્ગેનેર ક્ષેત્રની પાસે કુલાન ગામમાં હિમપ્રાતના કારણે 5 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય કેટલાક લોકોને ઈજાઓ પણ પહોંચી છે. જોકે સેનાએ આ વિસ્તારમાં પણ પોતાનું બચાવ અભિયાન શરૂ કર્યું છે. આ વિસ્તારને શ્રીનગર સાથે જોડતો રસ્તો હાલ બંધ છે. આ કારણે રાહત માટે સૈનિકોએ ચાલતા જવાની ફરજ પડી છે.