દેવવાસીઓને મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે વડાપ્રધાનની શુભેચ્છા
નવી દિલ્હી : 14 જાન્યુઆરી, 2018 અને રવિવાર. મકરસક્રાંતિનો તહેવાર. ખાસ કરીને ગુજરાતમાં આ તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવાય છે. રાજ્યની બહાર અને દેશની બહાર વસતા કેટલાક ગુજરાતીઓ પણ આ તહેવારની ઉજવણી માટે અહીં આવે છે. આમ તો સમગ્ર દેશમાં જ આ તહેવારનું અનેરું મહત્વ છે. આ તહેવાર ખેડૂતો માટે ખાસ ઉજવવામાં આવે છે. આ તહેવાર ઉજવણીની વાત કરીએ તો હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર પર્વ અને તહેવાર ચંદ્ર પંચાંગ એટલે કે ચંદ્રમાની ગતિ અને તેની કળાઓ પર આધારિત છે.
ઉલ્લેખનીય છે કે, હિંદુ પંચાગ અનુસાર માનવામાં આવે છે કે, જ્યારે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે સંક્રાંતિ થાય છે. મકરસંક્રાંતિ પર્વનું નિર્ધારણ સૂર્યની ગતિ અનુસાર થાય છે, આ કારણે જ તેની ઉજવણી 14 જાન્યુઆરીના રોજ કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વહેલી સવારે જ ટ્વીટર દ્વારા દેશવાસીઓને મકરસંક્રાંતિ નિમિત્તે શુભકામનાઓ પાઠવી હતી. તેમણે હિંદી ઉપરાંત ગુજરાતી અને અંગ્રેજી ગ્રિટિંગ્સ દ્વારા ગુજરાતીઓને ઉત્તરાણયની શુભકામના પાઠવી હતી. આ ઉપરાંત તેમણે મઘ બિહુ અને પોંગલ નિમિત્તે પણ શુભકામના પાઠવી હતી.