મુખ્ય સમાચાર
News of Saturday, 13th January 2018

જયપુરનો અનોખો કિસ્સો

દોઢ વર્ષ પહેલા થયું પિતાનું મૃત્યુઃ પુત્રીએ કરાવ્યા માતાના બીજા લગ્ન

જયપુર તા. ૧૩ : ધૂમધામથી પોતાના બાળકોના લગ્ન કરાવવા તે દરેક માતાપિતાનું સપનું હોય છે. પરંતુ જયપુરમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, જયાં પુત્રીએ પોતાની વિધવા માતામાં ખુશીઓ લાવવા માટે તેના બીજા લગ્ન કરાવ્યા.

જયપુરમાં રહેતી સંહિતા હાલ ગુરૂગ્રામમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેના પિતાનું મૃત્યુ ૨૦૧૬માં હાર્ટ અટેકને કારણે થયું હતું. તેણે જણાવ્યું કે પિતાના મૃત્યુ બાદ માતા ગીતા અગ્રવાલ(૫૩) એકદમ એકલી અને ઉદાસ થઈ ગઈ હતી.

સંહિતાએ જણાવ્યું કે, 'મેં માતાને કહ્યા વગર મેટ્રિમોનિયલ સાઈટ પર તેની પ્રોફાઈલ બનાવી હતી, ત્યાર બાદ બાંસવાડાના રહેનારા રેવેન્યુ ઈન્સ્પેકટર કે જી ગુપ્તા (૫૫)એ તેમનો સંપર્ક કર્યો. ત્યાર બાદ આગળ વાત ચાલી હતી.' ગુપ્તાજીની પત્નીનું ૨૦૧૦માં કેન્સરને કારણે મૃત્યુ થયું હતું.

પોતાની માતાના બીજા લગ્ન કરાવ્યા બાદ સોશિયલ મીડિયા પર પોતાની લાગણી વ્યકત કરતા સંહિતાએ કહ્યું કે, 'મમ્મી કહે છે લગ્ન કરવાની ઉંમર તારી છે, મારા લગ્ન કેમ કરાવે છે. તારા લગ્નમાં મુશ્કેલી આવશે. હવે તે જોઈ શકે છે કે સમાજ બદલી ગયો છે. હવે જે કરવાનું છે તે છે લાઈફને ફરી નોર્મલ કરવી. એક પિતાને જો હમસફરની જરૂર હોય તો તે ખુલ્લા મને બાળકોને વાત કરી શકે છે પરંતુ એક માને હંમેશા શરમના પડદામાં છુપાયેલું રહેવું પડે છે તે પણ કહે કે મારે પણ જીવવું છે પહેલાની જેમ.' તેણે વધુમાં કહ્યું કે, 'મેં માત્ર શરૂઆત કરી છે. તમે લોકો સહયોગ કરો તો આ દેશમાં ઘરની બહાર માળા ફેરવતા વૃદ્ઘો જોવા નહીં મળે. તેમની ઈચ્છા હોય છે કે કોઈ તેમની સાથે વાત કરે, કોઈ તેમના હાલ પૂછે. આપણે તેમની એકલતાને દૂર કરવી જોઈએ.' (૨૧.૧૪)

(11:45 am IST)