સંસદનું શિયાળુ સત્ર પૂર્ણ થયું : વિવિધ મુદ્દા ઉઠ્યા
છેલ્લા દિવસે રાહુલ ગાંધીના નિવેદનને લઇને હોબાળો : હોબાળા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી બંને ઉપસ્થિત
નવીદિલ્હી, તા. ૧૩ : લોકસભાનું શિયાળુ સત્ર આજે અચોક્કસ મુદ્દત માટે મોકુફ કરી દેવામાં આવ્યું હતું. સ્પીકર ઓમ બિરલા દ્વારા કાર્યવાહીને અચોક્કસ મુદ્દત માટે મોકૂફ કરવાની જાહેરાત કરી હતી. લોકસભા અને રાજ્યસભામા હાલમાં મહત્વપૂર્ણ બિલ પાસ કરવામાં આવ્યા હતા જેમા છેલ્લે રાજ્યસભામાં નાગરિક સુધારા બિલને પાસ કરવામાં આવ્યું હતું. આજે શિયાળુ સત્રના છેલ્લા દિવસે રાહુલ ગાંધીના રેપ ઇન ઇન્ડિયા નિવેદનને લઇને હોબાળો રહ્યો હતો. સત્ર દરમિયાન હાથ ધરવામાં આવેલા જુદા જુદા મુદ્દાઓ ઉપર અધ્યક્ષ વાત કરી રહ્યા હતા ત્યારે શાસક પક્ષના સભ્યો તરફથી રાહુલ ગાંધીના નિવેદનને લઇને માફીની માંગ કરવામાં આવી હતી. બીજી બાજુ વિરોધ પક્ષના સભ્યો પણ સુત્રોચ્ચાર કરતા નજરે પડ્યા હતા. વિરોધ પક્ષના સભ્યોએ માંગ કરી હતી કે, રાહુલ ગાંધીને પણ જવાબ આપવાની તક મળવી જોઇએ. હોબાળો થઇ રહ્યો હતો ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી બંને ગૃહમાં ઉપસ્થિત રહ્યા હતા.
સાથે સાથે આક્ષેપબાજીનો દોર પણ ચાલી રહ્યો હતો. આજે દિવસ દરમિયાન રાહુલ ગાંધીના મુદ્દા પર વધારે હોબાળો રહ્યો હતો. સંસદનું શિયાળુ સત્ર શરૂ થયા બાદથી જ આ વખતે મોટાભાગે ગૃહમાં ધાંધલ ધમાલ ઓછી જોવા મળી હતી. કામગીરી મોટાભાગે સાનુકુળરીતે ચાલી હતી. અનેક મહત્વપૂર્ણ બિલ પસાર કરવામાં આવ્યા હતા. છેલ્લે નાગરિક સુધારા બિલ પાસ કરવામાં આવ્યા બાદ આજે છેલ્લા દિવસે રાહુલ ગાંધીના નિવેદનને લઇને હોબાળો રહ્યો હતો. એકંદરે શિયાળુ સત્ર અસરકારક રહ્યું હતું. સત્રમાં કામગીરી યોગ્યરીતે ચાલે તે માટે વડાપ્રધાન મોદીએ સત્રની શરૂઆત પહેલા જ તમામને અપીલ કરી હતી. સતત બીજી વખત મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ સંસદના સત્રને વધુ હકારાત્મકબનાવવા પગલા લેવાઈ રહ્યા છે.