મુખ્ય સમાચાર
News of Wednesday, 13th November 2019

કર્ણાટક : ૧૭ અયોગ્ય સભ્ય કાલે ભાજપમાં જોડાઇ જશે

યેદીયુરપ્પાની ઉપસ્થિતિમાં ભાજપમાં સામેલ થશે : ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ પેટાચૂંટણી પહેલા સંગીન

બેંગ્લોર, તા. ૧૩ : સુપ્રીમ કોર્ટે કર્ણાટકના કોંગ્રેસ અને જનતાદળ સેક્યુલરના ૧૭ અયોગ્ય ધારાસભ્યોને ચૂંટણી લડવા માટે મંજુરી આપી દીધી છે. પાંચમી ડિસેમ્બર પહેલા જ કર્ણાટકમાં જોરદાર રાજકીય ઘટનાક્રમનો દોર શરૂ થઇ ચુક્યો છે. પાંચમી ડિસેમ્બરના દિવસે યોજાનાર ચૂંટણી પહેલા જ આ તમામ અયોગ્ય ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવા જઈ રહ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પાએ કહ્યું છે કે, આ તમામ નેતા ૧૪મી નવેમ્બરના દિવસે એટલે કે આવતીકાલે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ જશે. તેમણે કહ્યું છે કે, આવતીકાલે સવારે ૧૦.૩૦ વાગે બેંગ્લોરમાં તેઓ મુખ્યમંત્રી યેદીયુરપ્પા અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ નલિનકુમારની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે. અયોગ્ય ધારાસભ્યોએ ચુકાદા બાદ ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહાસચિવ બીએલ સંતોષ સાથે નવી દિલ્હીમાં વાતચીત કરી હતી.

                   તેમણે કહ્યું હતું કે, પાર્ટીના નેતા અને યોગ્ય ધારાસભ્યો મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષને આવતીકાલે મળશે અને ભાવિ યોજનાના સંદર્ભમાં નિર્ણય કરશે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, કોઇપણ પરેશાનીની કોઇ બાબત દેખાઈ રહી નથી. પાર્ટીમાં સામેલ થવા ઇચ્છુક સભ્યોનું અમે સ્વાગત કરીએ છીએ. અન્ય બાબતો અને પેટાચૂંટણીમાં હજુ સમય છે. સુપ્રીમ કોર્ટે આજે કોંગ્રેસ અને જેડીએસના ૧૭ ધારાસભ્યોને તત્કાલિન વિધાનસભા અધ્યક્ષ કેઆર રમેશકુમાર તરફથી અયોગ્ય જાહેર કરવામાં આવ્યા બાદ આને લઇને રાજકીય ગરમી વધી ગઈ હતી. પાંચમી ડિસેમ્બરના દિવસે પેટાચૂંટણીની મંજુરી આપી દીધી છે. ૧૭માંથી ૧૫ સીટો પર પેટાચૂંટણી હવે યોજાનાર છે. કારણ કે, બે સીટો મસ્કી અને રાજરાજેશ્વરી સાથે સંબંધિત અરજીઓ કર્ણાટક હાઈકોર્ટમાં પેન્ડિંગ રહેલી છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય અંગે ભૂતપૂર્વ વડાપ્રધાન અને જેડીએસના નેતા એચડી દેવગૌડાનું કહેવું છે કે, આખરે ચુકાદો એ છે કે, આ ધારાસભ્યો ચૂંટણી લડી શકશે જેથી સ્પીકરનો આદેશ રદ થઇ ગયો છે. બાકી તમામ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી સમાન છે. નાટકીય ઘટનાક્રમના દોર વચ્ચે થોડાક મહિના પહેલા જ ધારાસભ્યોએ પાટલી બદલી દેતા કોંગ્રેસ અને જેડીએસની ગઠબંધન સરકાર ગબડી ગઈ હતી. ૧૫ સીટો પર પેટાચૂંટણી થશે તો વિધાનસભાની સખ્યા પણ વધી જશે. કર્ણાટકમાં હવે ફરી એકવાર પેટાચૂંટણીને લઇને રાજકીય ગરમી વધી ગઈ છે અને પક્ષો સક્રિય થઇ ગયા છે.

(7:50 pm IST)