૧૫મીથી 'સ્વચ્છતા ઝુંબેશ પાર્ટ-૨'ની શરૂઆત કરશે મોદી
આ ઝુંબેશનું નામ 'સ્વચ્છતા સેવા ઝુંબેશ' રાખવામાં આવ્યું છે
નવી દિલ્હી તા. ૧૩ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છ ભારત ઝુંબેશ પાર્ટ-૨ શરુ કરવા જઈ રહ્યાં છે. આ ઝુંબેશનું નામ 'સ્વચ્છતા સેવા ઝુંબેશ'રાખવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના બધા લોકોને આ ઝુંબેશમાં જોડાવા અપીલ કરી છે. આગામી ૧૫ સપ્ટેમ્બરથી શરૂ થનારી આ સ્વચ્છતા ઝુંબેશ ૨ ઓકટોબર ગાંધી જયંતિ સુધી ચાલશે.ચાર વર્ષ પહેલાં ૨ ઓકટોબરના રોજ વડાપ્રધાન મોદીએ દેશમાં સ્વચ્છતા ઝુંબેશની શરુઆત કરી હતી. જેને આગામી ૨ ઓકટોબરે ચાર વર્ષ પુરા થશે. ઉપરાંત આ વર્ષે ગાંધીજીની ૧૫૦મી જયંતિની પણ શરૂઆત થશે. જેને અનુલક્ષીને વડાપ્રધાન મોદી આગામી ૧૫ સપ્ટેમ્બરથી 'સ્વચ્છતા ઝુંબેશ પાર્ટ-૨'ની સવારે ૯.૩૦ કલાકથી શરૂઆત કરશે.
આ જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતા ઝુંબેશ સાથે જોડાયેલા લોકો સાથે પણ મુલાકાત કરશે. ઝુંબેશ દરમિયાન સ્કૂલ અને સરકારી વિભાગોના અધિકારીઓ ઉપરાંત જન પ્રતિનિધિઓ તેમજ વિખ્યાત લોકો અને સામાજીક સંસ્થઆઓની સ્વચ્છતા ઝુંબેશમાં જવાબદારી નક્કી કરવામાં આવશે. મળતી માહિતી મુજબ જીલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી દ્વારા આ ઝુંબેશની કાર્ય યોજનાનો સંપૂર્ણ ડ્રાફટ તૈયાર કરી લેવામાં આવ્યો છે.