મુખ્ય સમાચાર
News of Wednesday, 12th September 2018

ખેડૂતોને એમએસપી સંબંધિત પોલિસીને કેબિનેટની બહાલી

મોદીના નેતૃત્વમાં કેબિનેટની બેઠકમાં નિર્ણય : ખેડૂતોને રેટ નીચે જશે તો વળતર આપવા વિશેષ વ્યવસ્થા

નવીદિલ્હી, તા. ૧૨ :  કેન્દ્રીય કેબિનેટે ખેડૂતોને એમએસપીની ખાતરી કરવા નવી પ્રાપ્તિ પોલિસીને આજે લીલીઝંડી આપી દીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેબિનેટની બેઠક યોજાઈ હતી જેમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં કેબિનેટે નવી પ્રાપ્તિ પોલિસીને મંજુરી આપી હતી. નવી મંજુર કરવામાં આવેલી પ્રાપ્તિ પોલિસી હેઠળ એક સ્કીમ ઉપર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ સ્કીમ હેઠળ તેલિબિયાના ખેડૂતોને વળતર આપવાના મુદ્દા ઉપર પણ નિર્ણય લેવામાં આવશે. જો રેટ એમએસપી કરતા નીચે જશે તો તેલિબિયાના ખેડૂતોને વળતર ચુકવવામાં આવશે. આ ઉપરાંત રાજ્યોને પ્રાપ્તિ માટે ખાનગી કંપનીઓને મેદાનમાં ઉતારવાની પણ તક આપવામાં આવશે. આ વર્ષે બજેટમાં સરકારે જાહેરાત કરી હતી કે, ખેડૂતોને લઘુત્તમ સમર્થન મૂલ્યની ખાતરી કરવા કુલ પ્રુફ વ્યવસ્થાને અમલી કરવા માટે પગલા લેવામાં આવશે. આ સંદર્ભમાં રાજ્યો અને કેન્દ્રીય કૃષિમંત્રાલય સાથે વાતચીત કરીને એક વ્યવસ્થા સુચવવા નીતિ આયોગને કહેવામાં આવ્યું હતું. સુત્રોના કહેવા મુજબ કૃષિ મંત્રાલયની નવી પ્રાપ્તિ પોલિસી આવી ગઈ છે. અન્નદાતા મૂલ્ય સંરક્ષણ યોજના ચર્ચા માટે હાથ ધરવામાં આવી ચુકી છે. આને મંજુર પણ કરવામાં આવી ચુકી છે. નવી પોલિસી હેઠળ રાજ્ય સરકારોને ખેડૂતોનું રક્ષણ કરવા માટે મલ્ટીપલ સ્કીમની પસંદગી કરવા વિકલ્પ આપવામાં આવશે જ્યારે કિંમતો એમએસપીથી નીચે જશે ત્યારે ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે. નવી સ્કીમ જે પીડીપી પણ તૈયાર કરવામાં આવી છે. મધ્યપ્રદેશ સરકારની ભાવાંતર ભુગતાન યોજનાની જેમ આ યોજના તૈયાર કરવામાં આવી છે. પીડીપી હેઠળ સરકાર એમએસપી અને માસિક સરેરાશ કિંમત વચ્ચેના અંતરની ચુકવણી ખેડૂતોને કરશે. હોલસેલ માર્કેટમાં ઉલ્લેખ કરવામાં આવેલી તેલિબિયાની કિંમત અને એમએસપી વચ્ચે અંતરની ચુકવણી કરવામાં આવશે. રાજ્યમાં તેલિબિયાના ઉત્પાદનમાં ૨૫ ટકા સુધી આને અમલી કરાશે.

(7:35 pm IST)