મુખ્ય સમાચાર
News of Wednesday, 12th September 2018

પેટ્રોલીયમનો ભાવ વધારો ડુચા કાઢશેઃ હવે રાજ્યોમાં આંદોલન કરશે કોંગ્રેસ

ભારત બંધની સફળતાથી કોંગ્રેસ પક્ષ ખુશઃ બીજા તબક્કાના આંદોલનની તૈયારી : રાહુલે શરદ પવાર સાથે કરી મંત્રણાઃ અન્ય વિપક્ષોનો પણ સાથ લઈ સરકારનું નાક દબાવશે

નવી દિલ્હી, તા. ૧૨ :. પેટ્રોલ-ડીઝલ કિંમતોમાં ઘટાડો નહીં કરવાના મોદી સરકારના ઈરાદાઓને જોતા કોંગ્રેસ હવે મોંઘવારી વિરૂદ્ધનું અભિયાન આગળ વધારશે. મોંઘવારીના મુદ્દે ભાજપાને ઘેરવા માટે બીજા ચરણના અભિયાનમાં રાજ્યોમાં વિરોધની તૈયારી કરે છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી રાજ્યોમાં પણ વિરોધ પક્ષોના સહયોગથી સરકાર વિરૂદ્ધ આંદોલન ચલાવવાના હિમાયતી છે.

મોંઘવારી વિરૂદ્ધ વિપક્ષી મોર્ચાને રાજ્યોમાં પ્રભાવશાળી બનાવવાની કોંગ્રેસની આ રણનિતી ઉપર રાહુલે શરદ પવાર સાથે પણ વાત કરી છે. જે રીતે વિરોધ પક્ષોની ભાગીદારીના કારણે ભારત બંધને સફળતા મળી તેથી શરદ પવાર પણ આંદોલનને આગળ વધારવા વિપક્ષી સહયોગની તરફેણમાં છે. કોંગ્રેસનું માનવું છે કે, સરકારની પ્રજા વિરોધી નિતીઓ વિરૂદ્ધ વિપક્ષો એક થવાથી સત્તામાં બેઠેલા લોકો પર કિંમતો ઘટાડવાનું દબાણ વધશે જ સાથે સાથે આવનાર લોકસભા ચૂંટણીમાં વિરોધ પક્ષોને છુટા પાડવાના ભાજપા અને મોદીના પ્રયાસોને નિષ્ફળ કરવાનો સંદેશ પણ આપી શકાશે.

પાર્ટી સૂત્રોએ કહ્યું કે રાહુલ અને પવાર વચ્ચે ભારત બંધ દરમ્યાન જ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને ન છોડવા માટે સહમતી થઈ ગઈ હતી. પેટ્રોલ-ડીઝલની મોંઘવારીથી મધ્યમ વર્ગ જ નહીં, ગરીબ અને ખાસ કરીને ખેડૂતો પણ ત્રસ્ત છે અને પ્રજા વિરોધ પક્ષો સામે નજર માંડી રહી છે. એવા મત પર બન્ને નેતા સહમત છે. એટલા માટે વિરોધ પક્ષોની જવાબદારી છે કે જ્યાં સુધી સરકાર પેટ્રોલ ડીઝલની કિંમતો ઘટાડી પ્રજાને રાહત ન આપે ત્યાં સુધી વિરોધ પક્ષો આ મામલે ભાજપાને ચેઈનથી નહીં બેસવા દે.

પેટ્રો ઉત્પાદનોની મોંઘવારી વિરૂદ્ધ કોંગ્રેસના બીજા ચરણના અભિયાનની તૈયારીની વાત કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ પણ કરી. આ વિષે પુછવામાં આવતા તેમણે કહ્યું કે જનતા મુશ્કેલી બાબત બેપરવાહ મોદી સરકાર વિરૂદ્ધનું આંદોલન ભારત બંધથી પુરૂ નહીં થાય પરંતુ રાજ્યોમાં પણ અલગ અલગ રીતે આંદોલનની રૂપરેખા બનાવાઈ રહી છે. સુરજેવાલાએ વિપક્ષોમાં આગળ પણ સહકાર પર જોર દેવાની પવારની વાતની પુષ્ટિ કરી હતી.

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી જનતા પરેશાન છે. છેલ્લા છ મહિનામાં પેટ્રોલમાં ૮.૩૯ રૂપિયા અને ડીઝલમાં ૧૦.૦૮ રૂપિયાનો વધારો થયો છે. હવે આ કિંમતો એવા સ્તરે પહોંચી ગઈ છે કે પ્રજાને તે ખુંચવા લાગી છે. આના લીધે આવનારા સમયમાં ખેતીનો ખર્ચ જ નહી વધે પણ મોંઘવારી પણ વધશે અને તેને અંકુશમાં લેવા માટે આરબીઆઈએ લોનના દરોમાં પણ વધારો કરવો પડશે.

ભારતીય રીઝર્વ બેન્કે વર્ષ ૨૦૧૮-૧૯ માટે મોંઘવારી દરનું લક્ષ્ય ૪ ટકા રાખ્યુ છે. આ વર્ષે જૂન અને ઓગષ્ટમાં મુદ્રા નિતીની સમિક્ષા કરીને રીઝર્વ બેંક બે વાર વ્યાજ દર વધારી ચૂકી છે. ઓકટોબરના પહેલા સપ્તાહમાં એક વધુ વધારો થવાની શકયતા છે. તેના લીધે હોમ લોન, ઓટો લોન સહિત બીજા દરોમાં પણ વધારો થવાની શકયતા છે.(૨-૧)

(3:41 pm IST)