મુખ્ય સમાચાર
News of Monday, 13th July 2020

અભિનેત્રી દિવ્યા ચોક્સીનું નિધનઃ અવસાન બાદ તેની છેલ્લી પોસ્ટ સોશ્યલ મીડિયામાં ભારે વાયરલ

નવી દિલ્હી: અભિનેત્રી દિવ્યા ચોકાસીનું રવિવારે નિધન થયું. ચોક્સીને લોકો ફિલ્મ 'હૈ અપના દિલ તો આવારા' થી ઓળખતા થયા હતાં. ચોક્સીના નિધનની પુષ્ટિ અભિનેતા સાહિલ આનંદ દ્વારા તેમના વેરિફાઈડ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કરવામાં આવેલા એક શોક સંદેશથી થઈ છે. પરંતુ દિવ્યાના નિધન બાદ સોશિયલ મીડિયા પર તેની છેલ્લી પોસ્ટ ખુબ વાઈરલ થઈ રહી છે. નિધનના થોડા કલાકો પહેલા દિવ્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ માટે એક હ્રદયદ્રાવક પોસ્ટ કરી હતી. જેમાં તેણે દુનિયાને અલવિદા કરી દીધી હતી. દિવ્યાનું નિધન કેન્સર સામે એક લાંબી લડત લડ્યા બાદ થયું છે.

તેણે લખ્યું હતું કે "હું જે કહેવા માંગુ છું તેના માટે પૂરતા શબ્દો નથી. મને ગાયબ રહ્યે મહિનાઓ થઈ ગયાં અને અનેક સંદેશાઓનો ઢગલો થયો. આજે હું તમને બધાને જણાવું છું કે હું મારી મૃત્યુશૈયા પર છું. હું મજબુત છું. પીડારહિત બીજા જીવન માટે. કોઈ સવાલ નથી પ્લિઝ. તમે મારા માટે કેટલા મહત્વના છો તે ફક્ત ઈશ્વર જાણે છે. ડીસી બાય."

અત્રે જણાવવાનું કે દિવ્યાના નિધન પર સાહિલે લખ્યું છે કે તમારા ભાઈને તમારી ખુબ યાદ આવશે દિવ્યા ચોક્સી. તમારું જૂનૂન, તમારું સપનું, તમારો સ્વભાવ, અમારી ઈન્ડસ્ટ્રી પ્રત્યે તમારી સકારાત્મકતાનો કોઈ મુકાબલો નહતો. પરંતુ બની શકે કે ઈશ્વર પાસે તમારા માટે કોઈ અન્ય યોજના હોય. મને ભરોસો છે કે તમે એક સારી જગ્યાએ છો અને શાંતિમાં છો. તમારો ભાઈ તમને પ્રેમ કરે છે અને હંમેશા કરતો રહેશે. મારી યાદો અને મારા દિલમાં તમે હંમેશા જીવિત રહેશો. અભિનેતા-ગાયક સુયશ રાયે ટિપ્પણી કરી કે RIP.

(4:41 pm IST)