મુખ્ય સમાચાર
News of Monday, 13th July 2020

અનલોક ૩.૦ : જીમ - થિયેટર ખુલશે ઇન્ટરનેશનલ ફલાઇટ શરૂ થઇ શકે છે

૩૧ જુલાઇ બાદ સરકાર રાષ્ટ્રીય સ્તરે વધુ રાહત આપી શકે છે : શાળા - કોલેજો પુનઃ શરૂ કરવી કે નહિ ? સરકાર અવઢવમાં : જો કે અનલોક આગળ ધપાવવા સરકાર મક્કમ

નવી દિલ્હી તા. ૧૩ : દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, કેટલાક રાજયો અને શહેરોમાં થોડા દિવસો માટે લોકડાઉન પણ કરાઈ રહ્યા છે. તેવામાં ૩૧ જુલાઈ પછી 'અનલોક'ની પ્રક્રિયા કઈ રીતે આગળ વધશે તેના પર જોરદાર અટકળો અને ચર્ચાઓ થઈ રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કેન્દ્ર સરકાર વધુ છૂટછાટ આપવા માગે છે, જયારે કેટલાક રાજયો નિયંત્રણો પાછા અમલમાં લાવવાના પક્ષમાં છે.

આખા દેશમાં ઈન્ટરનેશનલ ફલાઈટ, સિનેમા હોલ્સ, જિમ્સ સહિત ઘણું-બધું હજુય બંધ છે. કેન્દ્ર સરકાર ઈન્ટરનેશનલ ફલાઈટમાં આવનારા પેસેન્જર્સ માટે કોરોના નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કરવા ઉપરાંત એરપોર્ટ પર પણ તેમનું ટેસ્ટિંગ થાય તેવું ઈચ્છે છે. સિનેમા હોલ્સને પણ બાળકો અને વરિષ્ઠ નાગરિકો સિવાયના લોકો માટે ખૂલ્લા મૂકવાનો પ્લાન છે.

આમ તો સરકાર ૧૫ જુલાઈથી જ ઈન્ટરનેશનલ ફલાઈટ શરૂ કરવા માગતી હતી. જોકે, હવે તે વધુ ડેટા અને ફીડબેક મેળવ્યા બાદ ૩૧ જુલાઈ બાદ આ અંગેનો આખરી નિર્ણય લેશે. ૪૮-૭૨ કલાકથી લાંબી ફલાઈટ ના હોય તેવા પેસેન્જર્સને કોરોના નેગેટિવ રિપોર્ટ સાથે જ મુસાફરીની મંજૂરી અપાશે. જેનો રિપોર્ટ નેગેટિવ હોય પરંતુ કોરોનાના લક્ષણો જણાતા હોય તેમને પણ મુસાફરી માટે પરવાનગી નહીં મળે.તેવી જ રીતે વિદેશથી ભારતમાં આવનારાએ પોતાના ખર્ચે એરપોર્ટ પર ટેસ્ટ કરાવવો પડશે તેવી પણ દરખાસ્ત છે. રેપિડ એન્ટિજેન ટેસ્ટિંગમાં ૩૦-૪૫ મિનિટમાં રિઝલ્ટ આવી જાય છે અને તેની કિંમત ૫૦૦ રૂપિયા થાય છે. જો આ પ્રોસેસ પણ અમલમાં આવશે તો પેસેન્જરને લેન્ડિંગ બાદ એરપોર્ટથી બહાર નીકળવામાં જેટલો સમય લાગે છે તેમાં વધારાના એકથી બે કલાક ઉમેરાઈ જશે. જો એરપોર્ટ પર ઉતરેલો કોઈ પેસેન્જર પોઝિટિવ આવશે તો તેને પોતાના ખર્ચે કવોરન્ટાઈન થવું પડશે. વિદેશથી આવેલાને હોમ કવોરન્ટાઈન થવા અંગે હાલ કોઈ પ્લાન નથી.

એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, સરકાર અર્થતંત્રને ફરી પાટે ચઢાવવા માગે છે. તેવામાં વિદેશથી આવનારા સેકડો મુસાફરોને રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ કવોરન્ટાઈનમાં રાખવા બાધારુપ બની શકે. અનલોકિંગની પ્રક્રિયા સરકાર પૂર્ણ સાવધાની સાથે કરી રહી છે. તેમાં કેટલાક જોખમો પણ છે, પરંતુ બિનજરૂરી નિયંત્રણો મૂકવાનો કોઈ મતલબ નથી.

ઈન્ટરનેશનલ ફલાઈટ ઉપરાંત ચાર મહિનાથી બંધ પડેલા થિયેટરોને પણ ફરી શરુ કરવા સરકાર વિચારી રહી છે. હાલની ચર્ચા મુજબ ૧૫-૫૦ વર્ષની વય ધરાવતા લોકોને જ થિયેટરમાં પ્રવેશ આપવામાં આવી શકે છે. સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે હેતુથી સિટિંગ પ્લાનમાં પણ ફેરફાર શકય છે. આ સિવાય જિમ અને ફિટનેસ સેન્ટર પણ પૂરતી તકેદારી સાથે ફરી શરૂ કરવા અંગે સરકાર વિચારી રહી છે.

જોકે, સ્કૂલ-કોલેજને શરૂ કરવાની મંજૂરી આપવી કે નહીં તે અંગે સરકાર હજુય અસમંજસમાં છે. આ મામલે અલગ-અલગ વિકલ્પ પર ચર્ચા-વિચારણા ચાલી રહ્યા છે. જેમાં અલ્ટરનેટ ડે સ્કૂલિંગનો પણ સમાવેશ થાય છે. જોકે, સ્કૂલો-કોલેજોનો સમય કયો રાખવો તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી કરાઈ. સ્થાનિક પરિબળોને ધ્યાનમાં રાખીને રાજય સરકારોને પણ અમુક નિર્ણયો લેવાની કેન્દ્ર સરકાર છૂટ આપવા વિચાર કરી રહી છે.

(3:09 pm IST)