મા-બાપની મરજી વિરૂધ્ધ લગ્ન : ઢાળી દીધી ૫ લાશો
બેંગલુરૂ,તા.૧૩: માતા-પિતાની મરજી વિરુદ્ઘ મુનેશ અને મંજુલાએ લગ્ન કર્યા હતા. તેમને ડર હતો કે તેમની સાથે કંઈક ખોટું થશે. બંનેએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ વાતથી નારાજ છોકરીના પરિવારજનોએ છોકરાના પરિવારના પાંચ સભ્યોની કથિત રીતે હત્યા કરી દીધી. પોલીસે રવિવારે જણાવ્યું કે, કર્ણાટકના રાયચૂર જિલ્લાના સિંધનૂરમાં શનિવારે રાત્રે આ ઘટના બની અને પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, મુનેશ અને મંજુલાએ પોત-પોતાના માતા-પિતાની મરજી વિરુદ્ઘ ૮ મહિના પહેલા ભાગીને લગ્ન કરી લીધા હતા.
પોલીસે જણાવ્યું કે, શનિવારે મંજુલાને લઈને મુનેશ પોતાના ઘરે આવ્યો હતો. આ બંને પાછા આવ્યા હોવાની જાણ થતા મંજુલાના સંબંધીઓએ બંનેને કથિત રીતે ધમકી આપી હતી. ડરના કારણે બંનેએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે જણાવ્યું કે, તેનાથી ગુસ્સે ભરાયેલા મંજુલાના પરિવારજનોએ મુનેશના ઘર પર હુમલો કર્યો અને બંનેને લાકડીઓથી માર માર્યો.
પોલીસના જણાવ્યા મુજબ, હુમલામાં મુનેશના માતા-પિતા, તેની એક બહેન અને બે ભાઈઓના મોત થઈ ગયા. મુનેશની અન્ય બે બહેનો ઘાયલ થઈ, જેમને હોસ્પિટલમાં દાખલ કરાવાઈ છે.