મુખ્ય સમાચાર
News of Saturday, 13th July 2019

મારા ઉપર ૧૦૦થી વધુ પુરૂષોએ બળાત્કાર ગુજારેલ

મારો પુત્રનો પિતા કોણ છે એ ખબર નથી

રવાન્ડામાં ૧૯૯૪માં નરસંહાર થયો ત્યારે ૮૦૦,૦૦૦થી વધુ લોકોની હત્યા થઈ હતી.  ચેતવણીઃ આ લેખમાં આગળ થયેલું વર્ણન કેટલાક માટે વિચલિત કરનારું હોઈ શકે છે.

 પ્રાથમિક શાળાનું ભણતર પૂરું થયું તે પછી મારાં માતાપિતાનું નામ એક ફોર્મમાં લખવાનું હતું.  ત્યારે મને પ્રથમ વખત સવાલ થયેલો કે મારા પિતા કોણ હતા. હું તેમને જાણતો નહોતો - હું તેમનું નામ પણ જાણતો નહોતો.   આ ઉપરોકત શબ્દો છે રવાન્ડાના ૨૪ વર્ષના એક યુવાન જીન પિયરેના. જેમના માતા પર નરસંહાર વખતે બળાત્કાર થયો હતો.

તેમણે ટીવી ચેનલ સાથેની વાતચીતમાં તેમના જીવનની પીડાની વાત જણાવી હતી. ઘરમાં પિતાની હાજરી ના હોય તે બાબત બહુ અસાધારણ નહોતી. ઘણાં બધાં બાળકોના પિતા નહોતા.  રવાન્ડામાં ૧૯૯૪માં નરસંહાર થયો ત્યારે ૮,૦૦,૦૦૦થી  વધુ લોકોની હત્યા થઈ હતી.  આ બાળકોએ ગામમાં થતી ગુસપુસ સાંભળી હતી અને તેમના વિશે શું કહેવાતું હતું તે પણ કાને પડ્યું હતું.

જોકે, વર્ષો બાદ જ ગુસપુસ પાછળની હકીકતોની જાણ તેમને થઈ હતી. તેમનાં માતા કેરીને મક્કમતા સાથે કહ્યું હતું કે આ કથા એક સમયે જ બેસીને સાંભળી શકાય તેમ નથી. કેરીન જણાવે છે,  તેને જુદીજુદી માહિતી મળી હતી. તેણે ગુસપુસ સાંભળી હતી. મારા સમાજમાં બધા લોકોને ખબર હતી કે મારા પર બળાત્કાર થયો હતો. હું તે બાબતમાં કશું કરી શકું તેમ નહોતી.

''મારો પુત્ર મને પૂછ્યા કરતો હતો કે તેના પિતા કોણ છે. ૧૦૦ કે તેનાથી વધુ પુરુષોએ મારા પર બળાત્કાર કર્યો, તેમાંથી તેના પિતા કોણ હશે તે હું પણ કહી શકું એમ નથી.૨૫ વર્ષ વીતી ગયાં હોવા છતાં પીડા હજીય ઓછી થઈ નથી. કેરીનની કથા સાંભળીએ ત્યારે ખ્યાલ આવે છે કે શા માટે સત્ય જણાવવા માટે તેમણે પોતાનો પુત્ર મોટો થઈ જાય ત્યાં સુધી રાહ જોવી પડી હતી. કેરીન પર પહેલી વાર બળાત્કાર થયો ત્યારે તેઓ પણ યુવાન હતાં. તે વખતે હજારો સ્ત્રીઓ, વિશેષ કરીને ટુટ્સી સ્ત્રીઓ અને યુવતીઓ પર તેમના પડોશી હુટુ લોકોએ, મિલિશિયા (લોકોની સૈનિકો જેવી ટોળી) અને સૈનિકોએ બળાત્કાર કર્યો હતો.

તે વખતે નરસંહારની શરૂઆત જ થઈ હતી અને તેમના ચહેરા પર કુહાડીથી હુમલો થયો હતો તેનો ઘા પણ હજી તાજો હતો. આજે પણ તે ઘાને કારણે કેરીન સરખી રીતે જમી કે બોલી શકતાં નથી.  એક જમાનામાં એક સમુદાયમાં સાથે રહેનારા જ કેટલાક લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. તેમને ઢસડીને એક ખાડા પાસે લઈ ગયા હતા.

આ હુમલાખોરોએ એક શાળામાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકોને એકઠાં કરીને પદ્ઘતિસર તેમની હત્યા કરી દીધી હતી અને તેની લાશોને ખાડામાં ખડકી રહ્યા હતા.૧૦૦ દિવસના નરસંહારમાં બળાત્કાર દરમિયાન કેટલાં બાળકો પેદા થયાં એ જાણી શકાયું નથી.

તેમને ઊંડા ઘા પડ્યા હતા અને ભારે પીડા થઈ રહી હતી, પણ કેરીન હજીય જીવવા માગતાં હતાં. તેના થોડા કલાક પછી સૈનિકોએ પણ તેમના પર હુમલો કર્યો હતો અને તેમના ગુપ્તાંગમાં વૃક્ષનાં ડાળખાં અને લાકડીઓ નાખીને તેમના પર અનહદ અત્યાચાર કર્યો હતો. તો પણ તેઓ જીવી જવા માગતાં હતાં.

તેના પછી બીજા એક જૂથે તેમના પર હુમલો કર્યો અને તેમના આખા શરીર પર બચકાં ભરી લીધાં હતાં. તે પછી કેરીનને લાગ્યું હતું કે હવે પોતે મરી જાય તો સારું.

 હવે મને થયું કે જલદી મરી જાઉં તો સારું. મને વારંવાર મરી જવાનું મન થવા લાગ્યું હતું.  જોકે, તેમની યાતનાની હજી શરૂઆત જ થઈ હતી. તેમને હોસ્પિટલ લઈ જવાયાં હતાં અને સારવાર ચાલી રહી હતી.

જોકે, તે હોસ્પિટલ પર પણ હુટુ મિલિશિયા (લોકોની સૈનિકો જેવી ટોળી)એ કબજો કરી લીધો.  તેઓ કહે છે, ''હું ત્યાંથી ભાગી શકી નહીં. બધું પડી ભાગ્યું હતું એટલે હું નાસી શકી નહીં.''

''જેને સેકસની ઇચ્છા થાય તે મારી સાથે આવીને કરી શકતા હતા. કોઈને પેશાબ કરવાનું મન થાય તો મારા પર આવીને કરતા હતા.

આખરે બળવાખોર રવાન્ડન પેટ્રિયોટિક ફ્રન્ટે હોસ્પિટલને હુટુના કબજામાંથી મુકત કરાવી.  તે પછી કેરીનને યોગ્ય સારવાર મળી શકી હતી. બાદમાં તેમને પોતાના ગામે પાછા જવાની રજા આપવામાં આવી હતી.

તેઓ માનસિક રીતે પડી ભાંગ્યાં હતાં અને અશકત થઈ ગયાં હતાં, હજીય ઘા રૂઝાયા નહોતા પણ બચી ગયાં હતાં.  તપાસ થઈ ત્યારે ખબર પડી કે તે સગર્ભા છે ત્યારે ડોકટરો પણ ચોંકી ગયા હતા.પોતાના બાળકને સાચું કહેવામાં માતાને વર્ષો લાગી ગયાં

 મારું શરીર સાવ નબળું પડી ગયું હતું એટલે હું પૂછવા લાગી હતી કે હવે મારે શું કરવું. હવે શું થશે તેની કશી કલ્પના પણ કરી શકું તેમ નહોતી.

 બાળક જન્મ્યું ત્યારે મને ના સમજાયું કે આમ કેમ થયું. હું માની જ ના શકી કે આ મારું સંતાન છે. શું બન્યું હતું તેના વિશે હું સતત વિચાર્યા કરતી હતી. જન્મ પછી મેં શિશુને મારી પાસે જ રાખ્યું - જોકે મને તેના માટે માતૃત્વભાવ જાગતો નહોતો.

છેલ્લાં ૨૫ વર્ષમાં લગભગ આવી જ કથાઓ રવાન્ડાનાં અનેક બાળકોને સંભાળવામાં આવી છે.  કથાની વિગતોમાં થોડો ફેરફાર હોઈ શકે, પણ આવી જ યાતનાની તે કથાઓ હતી અને ભાગ્યે જ જાહેરમાં આ વિશે કયારેય વાત થતી હતી.

   વાસ્તવિકતાનો સ્વીકાર કરતાં કેરીન જણાવે છે,  મને સૌથી વધુ યાતના એ લોકો વિશે વિચારવાને કારણે થતી હતી. તમે આખરે માફ કરી દો ત્યારે તમને સારું લાગે છે. જીન-પિયરે કહે છે, ''મને કયારેય તેમના પર રોષ આવ્યો નથી. કયારેય હું પિતા વિશે વિચારું પણ છું. જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે મને લાગે કે આવી સમસ્યાના ઉકેલ માટે મારી પાસે પિતા હોત તો સારું હોત.''

તેઓ મિકેનિક બનવા માગે છે અને ઇચ્છે છે કે પોતાનો પણ પરિવાર હોય.

તેઓ કહે છે, ''હું મારા પરિવારને ઉપયોગી થવા માગું છું. જોકે, પરિવારને મદદરૂપ થવા માટે પૈસા જોઈએ અને પૈસા જ પૂરતા પ્રમાણમાં છે નહિ.

કેરીને શરૂઆતના તબક્કે જ કાઉન્સેલિંગનો આશરો લીધો હતો. તેના કારણે જીન-પિયરે મોટા થવા લાગ્યા તે સાથે તેમના પર પ્રેમ આવવા લાગ્યો હતો.  હવે મને લાગે છે કે આ જ મારો દીકરો છે.

સર્ફ સંસ્થાની મદદથી તેઓ નવું ઘર બનાવી શકયા છે. તેમના આ નવા ઘરના દરવાજાની આગળનાં પગથિયાંથી દૂર સુધીના હરિયાળા પહાડો નજરે પડે છે.

આ પગથિયાં પર મા-દીકરો બેઠાં હોય ત્યારે તેઓ એકબીજાની ઘણા નજીક છે તે ખ્યાલ આવી જાય છે. જે ગામમાં કેરીન મોટાં થયાં હતાં અને જે ગામના લોકો તેમના દીકરા વિશે ગુસપુસ કરતા હતા તેનાથી બહાર થોડે દૂર નવું દ્યર બનાવ્યું છે.

તેમના પરિવારે તેમના પર દબાણ કર્યું હતું કે જીન-પિયરેને ત્યજી દે. સંતાનને ત્યજી દેવાના બદલે તેઓ ગામ છોડીને નીકળી ગયાં હતાં.

જોકે, હવે સ્થિતિ થાળે પડી રહી છે. તેમનો પરિવાર અને ગામના લોકો અને સમાજ પણ હવે બંનેને સ્વીકારે છે.

કેરીન કહે છે, ''તે લોકો જાણે છે કે હું બહુ યાતના સહન કરીને જીવી ગઈ છું અને હું હવે અહીં રહીને ખુશ છું.''  (બીબીસીમાંથી સાભાર)

(3:50 pm IST)