સચિન પાયલોટને ભાજપની સાંકેતિક ઓફર : કહ્યું દેશને પ્રાધાન્ય આપનારા તમામ માટે પાર્ટીનો દરવાજો ખુલ્લો
સાંસદ રાજ્યવર્ધન સિંહ રાઠોડે આડકતરી રીતે સચિન પાયલોટને ભાજપમાં જોડાવવા માટે આમંત્રણ આપ્યું
નવી દિલ્હી :રાજસ્થાનમાં કોંગ્રેસના સીએમ અશોક ગેહલોત અને પક્ષથી નારાજ સચિન પાયલોટને લઇને હવે રાજકારણ ગરમાવા લાગ્યું છે. જેમાં સચિન પાયલોટ ગ્રુપના ધારાસભ્યએ અશોક ગેહલોત સરકાર પર ફોન ટેપિંગનો આક્ષેપ મૂક્યા બાદ રાજકારણમાં વધુ ગરમાવો આવ્યો છે. તેવા સમયે ભાજપના નેતા અને રાજસ્થાનના સાંસદ રાજ્યવર્ધન સિંહ રાઠોડે આડકતરી રીતે સચિન પાયલોટને ભાજપમાં જોડાવવા માટે આમંત્રણ આપ્યું છે.
જેમાં રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના નેતા અને પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલોટને ભાજપમાં જોડાવવા માટે આડકતરું આમંત્રણ આપ્યું છે. કોંગ્રેસ સરકાર અને મુખ્ય પ્રધાન અશોક ગેહલોતથી નારાજ પાયલોટને ભાજપે એક ઓફર આપીને કહ્યું છે કે દેશને પ્રાધાન્ય આપનારા તમામ લોકો માટે પાર્ટીનો દરવાજો ખુલ્લો છે. રાજસ્થાનના સાંસદ રાજ્યવર્ધન સિંહ રાઠોડે કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીમાં કોઈ વિઝન બાકી નથી તેથી નેતાઓએ પાર્ટી છોડીને વિઝનવાળા બીજા પક્ષમાં જવું પડશે.
ભૂતપૂર્વ ઓલિમ્પિયન શૂટર રાઠોડે સચિન પાયલોટના ભાજપમાં જોડાવાના પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, “અમારી પાર્ટી તે બધા લોકો માટે ખુલ્લી છે કે જેઓ દેશને પ્રાધાન્ય આપે છે અને તેમની વિચારધારા ‘ઈન્ડિયા ફર્સ્ટ’ બનાવી શકે છે. રાઠોડે કહ્યું, “જ્યારે કેન્દ્રમાં તમારું નેતૃત્વ નબળું છે, ત્યારે પ્રાદેશિક નેતાઓ તેઓ જે કરે તે કરે છે. તમારો સંદેશ ગમે તે હોય પછી તે પંજાબ હોય કે રાજસ્થાન. વિઝનના અભાવને કારણે નેતાઓ પાર્ટી છોડીને વિઝનવાળી પાર્ટીમાં જોડાશે