મુખ્ય સમાચાર
News of Thursday, 13th June 2019

બિશ્કેક : જિંગપિંગની સાથે મોદીની વિવિધ પ્રશ્ને ચર્ચા

પાકિસ્તાન, આતંકવાદ, દ્વિપક્ષીય મુદ્દા પર ચર્ચાઃ કિર્ગીસ્તાનના પાટનગર બિશ્કેકમાં સમિટમાં ભાગ લેવા મોદી પહોંચ્યા : ત્રાસવાદ સામે પાકિસ્તાન કાર્યવાહી કરે

બિસ્કેક,તા. ૧૩ : કિર્ગીસ્તાનના પાટનગર બિસ્કેકમાં એસસીઓ સમિટના ભાગરુપે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિંગપિંગ વચ્ચે વાતચીત થઇ હતી. વાતચીતમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો મુદ્દો પણ ઉઠ્યો હતો. બંને નેતાઓ વચ્ચે થયેલી વાતચીતમાં ભારતે પાકિસ્તાનને આતંકવાદ પર કઠોર પગલા લેવાની જરૂરિયાત ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. મોદીએ જિંગપિંગને કહ્યું હતું કે, પાકિસ્તાન આતંકવાદ મુક્ત ક્ષેત્ર બને તેવી અમારી ઇચ્છા છે પરંતુ આવું થતાં દેખાઈ રહ્યું નથી. ભારત ઇચ્છે છે કે, પાકિસ્તાન આતંકવાદીઓ સામે કાર્યવાહી કરે. બંને નેતાઓ વચ્ચે થયેલી વાતચીત અંગે વિદેશ સચિવ વિજય ગોખલેએ માહિતી આપી હતી. બંને નેતાઓ જુદા જુદા વિષય ઉપર પણ વાતચીત કરીને પેન્ડિંગ મુદ્દાઓને ઉકેલવા આગળ વધવા સહમત થયા હતા. બીજી વખત દેશના વડાપ્રધાન બન્યા બાદ જિંગપિંગ સાથે તેમની આ પ્રથમ બેઠક હતી. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાંઘાઇ સહયોગ બેઠકમં ભાગ લેવા માટે આજે સવારે કિર્ગિસ્તાન જવા માટે રવાના થયા હતા. મોદી ઓમાન, ઇરાન અને મધ્ય એશિયાના રસ્તે થઇને બિશ્કેક પહોંચ્યા હતા. બેઠકમાં પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન પણ હાજરી આપનાર છે. તાજેતરમાં જ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પત્ર લખીને વાતચીત મારફતે તમામ વિવાદને ઉકેલવાની વાત કરી હતી પરંતુ ભારતે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, આતંકવાદ અને વાતચીત એક સાથે ચાલી શકે નહીં. આવી સ્થિતિમાં પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રથી મોદીના વિમાનને નહીં લઇ જવાનો નિર્ણય એક સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે. શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશનની આ બેઠકમાં હિસ્સો લેવા માટે મોદી બિશ્કેક પહોંચ્યા છે. કેન્દ્રના આ નિર્ણય અંગે વિદેશ મંત્રાલયનું કહેવું છે કે, બિશ્કેક જનારા વિમાન માટે ભારત સરકારે બે વિકલ્પો ઉપર વિચારણા કરી હતી. અંતે એવો નિર્ણય કરાયો હતો કે, આ વિમાન ઓમાન, ઇરાન, મધ્ય એશિયન દેશો મારફતે બિશ્કેક જશે. બાલાકોટમાં આતંકવાદી અડ્ડાઓ ઉપર ભારતીય હવાઈ દળે હવાઈ હુમલા કર્યા બાદ પાકિસ્તાને પોતાના હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધા હતા. જો કે, માર્ચ-એપ્રિલ મહિનામાં બે વિમાની ક્ષેત્રો ખોલી દીધા હતા. બાકીના નવ વિમાની ક્ષેત્ર હજુ પણ બંધ છે જેના સંદર્ભમાં ૧૪મી જૂનના દિવસે નિર્ણય લેવામાં આવશે. મોદી બિશ્કેક મિટિંગમાં આતંકવાદ સહિતના મુદ્દા ઉપર વાતચીત કરનાર છે. પાકિસ્તાની વડાપ્રધાન સાથે મોદીની કોઇ બેઠક રાખવામાં આવી નથી જે મહત્વપૂર્ણ બાબત છે.

(9:30 pm IST)