મુખ્ય સમાચાર
News of Thursday, 13th June 2019

અમિત શાહ ડિસેમ્બર સુધી પાર્ટી પ્રમુખ તરીકે રહી શકે

ડિસેમ્બરમાં ભાજપ સંગઠનની ચૂંટણી યોજાશે : ભાજપમાં શિવરાજ ચૌહાણનું કદ વધ્યું : પાર્ટીના રાષ્ટ્રીય સભ્ય અભિયાનના પ્રમુખ તરીકેની મોટી જવાબદારી મળી

નવી દિલ્હી, તા. ૧૩ : અમિત શાહે ડિસેમ્બર સુધી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે રહે તેવી સંભાવના છે. સુત્રોની વાત ઉપર વિશ્વાસ કરવામાં આવે તો ભાજપ સંગઠનની ચૂંટણી ડિસેમ્બર સુધી પૂર્ણ થશે. ત્યાં સુધી પાર્ટી પ્રમુખ તરીકે અમિત શાહ રહેશે. આવી સ્થિતિમાં હરિયાણા, ઝારખંડ અને મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી પણ અમિત શાહના નેતૃત્વમાં જ લડવામાં આવશે. આજે અમિત શાહના નેતૃત્વમાં રાજ્ય પ્રમુખ સહિત પાર્ટીના ટોચના નેતાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંગઠનાત્મક ચૂંટણી, સભ્ય અભિયાન અને અન્ય સંબંધિત મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમના ઉત્તરાધિકારીની શોધ માટે કરવામાં આવનાર કાર્યક્રમને લઇને પણ ચર્ચા કરાઈ હતી. બેઠકમાં ઉપસ્થિત રહેલાઓમાં પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, રમનસિંહ, વસુધંરા રાજે, મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય, ભુપેન્દ્ર યાદવ, જેપી નડ્ડા સાથે ભારતીય જનતા પાર્ટીના જુદા જુદા રાજ્યોના પાર્ટી વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં જુદા જુદા હોદ્દા ઉપર નવા નેતાઓની પસંદગી માટે આશા વ્યક્ત કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી જે રાજ્યોમાં સત્તા ઉપર છે ત્યાં હવે ચૂંટણી યોજાનાર છે જેમાં હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડનો સમાવેશ થાય છે. આ વર્ષે ડિસેમ્બર મહિનામાં અમિત શાહ પાર્ટી પ્રમુખ તરીકે હોદ્દો છોડે તેવી શક્યતા છે. હવે રાષ્ટ્રપતિ શાસનને દૂર કરીને જમ્મુ કાશ્મીરમાં પણ ચૂંટણી યોજવામાં આવનાર છે. અમિત શાહ આવતીકાલે પણ બેઠકોનો દોર જારી રાખશે. આવતીકાલે યોજાનારી બેઠકમાં જુદા જુદા રાજ્યોના પાર્ટી મહાસચિવ ઉપસ્થિત રહેશે. આજે યોજાયેલી બેઠકમાં પાર્ટીના વરિષ્ઠ હોદ્દેદારોની સાથે લોકસભા ચૂંટણીમાં શાનદાર સફળતા બદલ શુભેચ્છાની આપલે કરવામાં આવી હતી. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીમાં શિવરાજસિંહ ચૌહાણનું કદ વધી ગયું છે. શિવરાજસિંહને પાર્ટી સભ્ય અભિયાનમાં પ્રમુખ બનાવવામાં આવ્યા છે. શિવરાજસિંહના નેતૃત્વમાં હવે સમગ્ર દેશમાં ભાજપના સભ્ય અભિયાનને આગળ વધારવામાં આવશે. આજે અમિત શાહે શિવરાજસિંહે મોટી જવાબદારી સોંપી હતી. અમિત શાહે સભ્ય અભિયાનમાં એવા રાજ્યો ઉપર ખાસ ધ્યાન કરવા કહેવામાં આવ્યું છે જ્યાં પાર્ટી હજુ પણ કમજોર છે. આની સાથે શિવરાજસિંહ ફરી એકવાર મુખ્ય ધારામાં આવી ગયા છે. વિધાનસભાની ચૂંટણીમાં મધ્યપ્રદેશમાં હાર થયા બાદ શિવરાજસિંહ ચૌહાણની રાજકીય કેરિયરને લઇને અટકળો ચાલી રહી હતી પરંતુ હવે નવી જવાબદારી મળી જતાં અટકળોનો અંત આવ્યો છે. શિવરાજ ફરીવાર સક્રિય થયા છે.

(8:14 pm IST)