ગૃહમંત્રી અમિત શાહની કાર્યવાહીથી ડર્યુ ISI
જમ્મુ-કાશ્મીરમાં બનાવ્યું નવું અલગતાવાદી જૂથ
નવી દિલ્હી, તા.૧૨: આતંકવાદીઓ અને અલગતાવાદીઓ સામે સુરક્ષા એજન્સીઓની સતત કાર્યવાહીથી ડરી ગયેલી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI એ ભારત સામે એક નવું કાવતરૃં ઘડવાનું શરૂ કર્યું છે. પાકિસ્તાને કાશ્મીરના કેટલાક અલગતાવાદીઓની મદદથી ગુપ્ત રીતે એક નવું અલગતાવાદી જૂથ બનાવવાના પ્રયાસો તેજ કર્યા છે.
ઝી ન્યૂઝને મળેલી એકસકલુસિવ માહિતી અુસાર, પાકિસ્તાને આ નવા ગ્રુપમાં લશ્કરના આતંકવાદીઓને પણ સામેલ કર્યા છે. ISI ની મદદથી બનેલા આ ગ્રુપને કાશ્મીરની સાથે-સાથે જમ્મુમાં પણ સેના અને સુરક્ષાદળો સામે મોટા પ્રદર્શનની જવાબદારી સોંપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર ઈરશાદ અહેમદ માલિકને નવા ગ્રુપના અધ્યક્ષ બનાવાયો છે, જે ભૂતકાળમાં લશ્કરનો આતંકી રહી ચૂકયો છે.
અમિત શાહના ગૃહમંત્રી બન્યા પછી ગૃહમંત્રાલય સાથે જોડાયેલા સૂત્રોએ એ સ્પષ્ટ કરી દીધું છે કે, આતંક અને અલગતાવાદીઓ સામે ઝીરો ટોલેરન્સની પોલિસી સતત ચાલુ રહેશે. NIA, IT અને ED દ્વારા કાશ્મીરમાં ફેલાયેલા ભ્રષ્ટાચાર અને ટેરર ફંડિગ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેના કારણે આતંકવાદીઓના હોશ ઉડી ગયા છે.
ગૃહમંત્રાલય સાથે જોડાયેલા એક અધિકારીએ ઝી ન્યૂઝને જણાવ્યું કે, દિલ્હીમાં સ્થિત પાકિસ્તાન હાઈ કમીશન અગાઉ પણ અલગતાવાદી નેતાઓને મદદ કરતું રહ્યું છે. પાકિસ્તાનમાંથી થતું ટેરર ફંડિગ આતંકીઓ અને અલગતાવાદીઓ સુધી પહોંચે છે, પરંતુ ભારતની કડક કાર્યવાહીના પગલે આ ફંડિગ પહોંચતું અટકી ગયું છે. હવે, ભારતીય એજન્સીઓ આ ફંડીંગના સ્રેત શોધવાના પ્રયાસ કરી રહી છે.