સુગર ફ્રી આઇસ્ક્રીમ ખરેખર હેલ્ધી હોય છે ખરા?
સ્વાસ્થ્ય માટે સારૂ છે સુગર ફ્રી?
નવી દિલ્હી તા. ૧૩ : જેઓ આઈસ્ક્રીમને પ્રેમ કરે છે તેમનાં માટે ઉનાળો એ આઈસ્ક્રીમ એન્જોય કરવા માટેનો સૌથી સારો સમય માનવામાં આવે છે. આઈસ્ક્રીમ એવો ખાદ્યપદાર્થ છે, જેને ગમે ત્યારે એન્જોય કરી શકાય છે. જોકે, એ લોકોનું શું થતું હશે જેઓ આઈસ્ક્રીમને ખૂબ જ પસંદ કરે છે પરંતુ ડાયાબિટીસનો ભોગ બન્યા છે અથવા તો ડાયેટ પર હોય છે.? મોટેભાગે આવા લોકો સુગર ફ્રી આઈસ્ક્રીમનો ઓપ્શન પસંદ કરતાં હોય છે.
જોકે, આ સુગર ફ્રી આઈસ્ક્રીમ ખરેખર હેલ્ધી છે ખરા? સુગર ફ્રી આઈસ્ક્રીમના ઓપ્શનને પોતાના જીવનમાં સમાવતાં પહેલા તમારે કેટલીક વાતો જાણવી ખૂબ જ જરુરી છે. જેમ કે કેલરી, સુગર ફ્રી આઈસ્ક્રીમ ખાઈને એવું લાગે છે કે તમે સુગરથી છૂટી ગયાં પરંતુ એક મિનિટ વિચારો, સુગર ફ્રી હંમેશા કેલોરી ફ્રી હોતું નથી. તમે નોર્મલ આઈસ્ક્રીમ ખાઓ છો તેના કરતાં સુગર ફ્રીમાં માત્ર ૨૫ ટકા જ ઓછું હોય છે.
સામાન્ય રીતે સુગર ફ્રી શબ્દ ડાયેટ કરનાર અથવા તો ડાયાબિટીસ હોય તેમને રાહત આપે છે. જોકે, એક રિસર્ચ અનુસાર વ્યકિત સુગર ફ્રી આઈસ્ક્રીમ વધુ ખાય છે કારણકે તે એવું માનતો હોય છે કે સુગર ફ્રી હોવાથી તેના શરીરને ઓછું નુકસાન કરશે પરંતુ હકીકતમાં તે નોર્મલ આઈસ્ક્રીમ કરતાં વધુ કેલોરીઝ પોતાના શરીરમાં નાખવા માટે જવાબદાર હોય છે.
સુગર ફ્રીમાં રહેલો સ્વીટ ટેસ્ટ તેના સુગર આલ્કોહોલને કારણે આવે છે. સુગર આલ્કોહોલનો ઉપયોગ સુગર ફ્રી આઈટમ્સ બનાવવામાં થાય છે. સુગર આલ્કોહોલમાં કાર્બોહાઈડ્રેટનું ભરપૂર પ્રમાણ હોય છે. જે ડાયાબિટીસ ધરાવતા વ્યકિત માટે ખૂબ જ નુકસાનકારક હોય છે. ડાયાબિટીસના દર્દીઓમાં સુગર ફ્રી ફૂડ ગ્લુકોઝનું પ્રમાણ વધારી શકે છે. આ ઉપરાંત સુગર આલ્કોહોલ સ્થૂળતા માટે પણ જવાબદાર છે.આથી જો તમને ડાયાબિટીસ હોય અથવા તો ડાયેટ પ્રેમી હોવ પરંતુ આઈસ્ક્રીમ ખાવાનું ન છોડી શકતા હોવ તો સુગર ફ્રી આઈસ્ક્રીમ તમારા માટે બેસ્ટ ઓપ્શન નથી. જોકે, તે રેગ્યુલર આઈસ્ક્રીમ કરતાં થોડો રાહત પહોંચાડે છે પરંતુ હેલ્ધી રહેવા માટે તમારે રોજબરોજના જીવનમાં સમાવેશ કરવો હિતાવહ નથી.(૨૧.૧૧)