મુખ્ય સમાચાર
News of Wednesday, 13th June 2018

કેન્દ્રની યોજના : મહિને ૮૪ રૂ. આપો અને વર્ષે ૨૪૦૦૦ મેળવો!

૧૦૦૦થી ૫૦૦૦ રૂપિયા સુધી માસિક પેન્શન દર મહિને મળતું રહેશે

નવી દિલ્હી તા. ૧૩ : અટલ પેન્શન યોજના (APY)ને વર્ષ ૨૦૧૫માં નરેન્દ્ર મોદી સરકારે લોન્ચ કરી હતી. આ પેન્શન યોજના મુખ્યત્વે બિનસંગઠિત ક્ષેત્ર પર કેન્દ્રિત છે અને રોકાણકારો ખૂબ ઓછી રકમનું રોકાણ કરી સારી એવી રકમ પાછી મેળવી શકે છે. એક વ્યકિતને ઓછામાં ઓછું માસિક રિટર્ન પ્રાપ્ત કરવા માટે ૧૮થી ૪૦ વર્ષની ઉંમર વચ્ચે પેન્શન યોજનામાં રોકાણ કરવાનું શરૂ કરવાનું રહે છે. ત્યાર બાદ તેને ૧૦૦૦ રૂપિયાથી ૫૦૦૦ રૂપિયા સુધી માસિક પેન્શન દર મહિને મળતું રહેશે.

જોકે રિટર્ન એ વ્યકિત કઈ ઉંમરે અને કેટલું રોકાણ કરવાનું શરૂ કરે છે, તેની પર નિર્ભર કરે છે. આ યોજના અંતર્ગત વ્યકિત ત્રણ રીતે ચુકવણી કરી શકે છે – માસિક, ત્રિમાસિક અને અર્ધવાર્ષિક. આનો અર્થ એ છે કે, ૬૦ વર્ષની ઉંમર બાદ ૨૦૦૦ રૂપિયા દર મહિને મળશે. એનએસડીએલની વેબસાઇટના મુજબ, ૪૨ વર્ષ માટે રોકાણ કરી તમે પેન્શન ૨૪,૦૦૦ રૂપિયા સુધી વધારી શકો છો. તે માટે વ્યકિતને બસ એક બેંક કે પોસ્ટ ઓફિસમાં સેવિંગ એકાઉન્ટ ખોલવાનું રહેશે.

APY ફોર્મ ઓનલાઇન ઉપરાંત તમામ બેંકોની વેબસાઇટ પર મળી રહે છે. યોજનાનો લાભ લેવા માટે ગ્રાહકે ફોર્મ ઓનલાઇન ડાઉનલોડ કરવાનું રહેશે. તેમાં જરૂરી જાણકારી ભર્યા બાદ ફોર્મ નજીકની બેંકમાં જમા કરાવવાનું રહેશે. આ સાથે જરૂરી કાગળો પણ ફોર્મમાં સંલગ્ન કરવાના રહેશે.

૬૦ વર્ષની ઉંમર બાદ APYમાંથી બહાર નીકળી શકો છો. પેન્શનની કુલ રકમ વ્યકિતને ૧૦૦ ટકા વાર્ષિકીકરણની સાથે આપવામાં આવશે. કોઈ પણ કારણસર સબ્સક્રાઇબરનું જો મૃત્યુ થઈ જાય તો પેન્શનની રકમ તેના પતિ કે પત્નીને મળશે અને બંનેનું મૃત્યુ થાય તો પેન્શન કોર્પસ તેના નોમિનીને તે રકમ પાછી આપી દેશે. ૬૦ વર્ષ પહેલાં યોજનામાંથી બહાર નીકળી નહિ શકો. જોકે કેટલીક પરિસ્થિતિઓ, જેવી કે લાભાર્થીનું મોત થાય કે ગંભીર બીમારી થાય તો, યોજનામાંથી બહાર નીકળી શકાય છે.

APY ૧૮-૪૦ વર્ષ વચ્ચે ભારતના તમામ નાગરિકો પર લાગુ થાય છે. એટલે કે કોઈ પણ વ્યકિત તેનો લાભ લઈ શકે છે. આધાર પ્રાથમિક કેવાયસી હશે. યોજનાના સંચાલનની સરળતા માટે ગ્રાહકોને આધાર અને મોબાઇલ નંબર મેળવવા માટે કહેવામાં આવે છે.

(10:05 am IST)