રેલવેના સિગ્નલિંગ પ્રોજેક્ટ અને વિદ્યુતીકરણ માટે મેક ઈન ઇન્ડિયાનો ઉપયોગ કરો : વડાપ્રધાન મોદીએ કર્યું સૂચન
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રેલવેને જણાવ્યું છે કે તે 78,000 કરોડના મહત્વાકાંક્ષી સિગ્નલિંગ પ્રોજેક્ટ માટે મેક ઇન ઇન્ડિયાનો ઉપયોગ કરે. રેલવે પ્રધાન પિયુષ ગોયલે જણાવ્યું હતું કે રેલવેમાં વિલંબ થવાનું કારણ તેની સદી જૂની સિગ્નલિંગ સિસ્ટમ છે. વડાપ્રધાને સિગ્નલિંગ અને ઇલેક્ટ્રિફિકેશન અંગે મેક ઇન ઇન્ડિયાને ઉપયોગમાં લેવા સૂચન કર્યા છે.
મેક ઇન ઇન્ડિયાની પહેલને ધ્યાનમાં રાખતા ત્રણ ભારતીય કંપનીઓએ સિગ્નલિંગ સિસ્ટમ વિકસાવવાનો પ્રયત્ન કર્યો છે. વડાપ્રધાન મોદીએ સૂચવ્યું છે કે આપણે જો યોગ્ય લાગે તેવી હોય તો આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે જણાવ્યું હતું કે આ વિકલ્પમાં સ્થાનિકની સાથે આંતરરાષ્ટ્રીય કંપનીઓ બંને છે.
પ્ રધાને જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ આંતરરાષ્ટ્રીય સ્તરની ટેક્નોલોજી સાથે મેક ઇન ઇન્ડિયા મુજબનો તથા ખર્ચ અસરકારક હશે. પ્રારંભમાં રેલવે યુરોપીયન ટ્રેન કંટ્રોલ સિસ્ટમ-ટુ તેના સમગ્ર નેટવર્ક પર લાવવાનું હતું, તેના માટે સીમેન્સ, થેલ્સ, અલ્સ્ટોમ, બોમ્બાર્ડિયર, અન્સાલ્ડો એસટીએસ, કેફ અને મેમેક જેવી વૈશ્વિક કંપનીઓની વિચારણા કરવામાં આવી હતી.
ગોયલે જણાવ્યું હતું કે વડાપ્રધાને જણાવ્યું હતું કે રેલવેનું ફક્ત 100 ટકા ઇલેક્ટ્રિફિકેશન જ કરવાનું નથી, આ ઇલેક્ટ્રિફિકેશન પાછું ખર્ચ અસરકારક રીતે કરવાનું છે. તેમા વિદ્યુતીકરણની અત્યંત જરૂર હોય તેવા રૂટને અગ્રતા આપવાની છે. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાને જે રૂટ પર ટ્રાફિક વધારે હોય તેનું વિદ્યુતીકરણ પહેલાં કરવા પર અને ખર્ચ અસરકારક રીતે કરવા પર ભાર મૂક્યો છે. દરેક રૂપિયાનું રોકાણ એ રીતે કરવામાં આવે કે તેનું મહત્તમ વળતર મળે તે જ વડાપ્રધાનનો ઉદ્દેશ્ય છે.