નદીઓમાં વહેતી લાશો જોઇને કોણ દુઃખી નહીં થાય ? કેન્દ્ર સરકાર ઉપર અનુપમ ખેર ભડકયા
સરકાર એ કામ કરે જેના માટે દેશની જનતાએ તેમને ચૂંટ્યા છે
મુંબઇ,તા. ૧૩: કોરોનાવાયરસની બીજી લહેરથી દેશના હાલાત બગડતા જઈ રહ્યા છે જેને લઈ બોલીવુડ અભિનેતા અનુપમ ખેરે કેન્દ્રની નરેન્દ્રભાઇ મોદી સરકારની આલોચના કરી છે. અનુપમ ખેરે હંમેશા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રશંસા કરી છે અને ભાજપના નેતૃત્વવાળા શાસનના એક મજબૂત સમર્થક રહ્યા છે પરંતુ કોરોના સ્થિતિ પર તેમણે મોદી સરકારને સલાહ આપી છે. અનુપમ ખેરે કહ્યું કે કેન્દ્રની સરકાર કોવિડ સંકટ સંભાળવામાં કયાંકને કયાંક લથડિયાં ખાઈ ગઈ છે અને તેને જવાબદાર ઠેરવવા મહત્વપૂર્ણ છે. અનુપમ ખેરે કહ્યું કે, કોરોનાની આ સ્થિતિને સંભાળવામાં તેમનાથી કયાંક ચૂક થઈ રહી છે. તેમના માટે અત્યારે સમજવાનો સમય છે કે આ સમયે ઈમેજ બિલ્ડિંગથી વધુ લોકોના જીવ બચાવવા જરૂરી છે.
એનડીટીવીને આપેલા એક ઈન્ટર્વ્યૂમાં અનુપમ ખેરે કેન્દ્ર સરકારની ટીકા કરી છે. લોકોને રાહત આપવાની જગ્યાએ ખુદની છબી બનાવવાની સરકારની કોશિશ પર સવાલ પૂછવામાં આવતાં અનુપમ ખેરે કહ્યું કે, કેન્દ્ર સરકાર માટે આ સમયે પડકારોનો સામનો કરવો ખુબ જરૂરી છે. તેમને સત્ત્।ા આપી તેવા લોકો માટે કંઈક કરો.
નદીઓમાં તરતા મૃતદેહો પર અનુપમ ખેરે કહ્યું કે, મને લાગે છે કે ઘણા મામલામાં ટિકા યોગ્ય છે. કોઈ અમાનવીય વ્યકિત જ હશે જે નદીઓમાં વહેતી લાશો જોઈ દુખી અને પ્રભાવિત નહિ થાય. મને લાગે છે કે સરકાર માટે આ મહત્વપૂર્ણ છે કે તે હંમેશા ઉઠે અને એ કામ કરે જેના માટે દેશની જનતાએ તેમને ચૂંટ્યા છે. પરંતુ અન્ય એક રાજનૈતિક દળ દ્વારા પણ પોતાના લાભ માટે તેનો ઉપયોગ કરવો પણ યોગ્ય નથી. મારા હિસાબે સામાન્ય જનતા તરીકે આપણને ગુસ્સો આવવો જોઈએ. જે કંઈપણ થઈ રહ્યું છે, તેના માટે સરકારને જવાબદાર ઠેરવવી જરૂરી છે. પરંતુ આ દરમ્યાન બીજા વિપક્ષી દળો દ્વારા ફાયદો ઉઠાવવો યોગ્ય નથી.
અનુપમ ખેર હાલમાં જ પોતાના એક ટ્વીટને લઈ ટ્રોલ થયા હતા, જેમાં તેમણે લખ્યું, 'કંઇ થઈ જાય, આવશે તો મોદી જ.' અનુપમ ખેરે કોરોના પર મોદી સરકારની આલોચના કરનારા લોકોને રિપ્લાઈ આપતાં આ ટ્વિટ કર્યું હતું. જેને લઈ અનુપમ ખેરની પણ સોશિયલ મીડિયા પર ખુબ ટિકા થઈ હતી. ૬૬ વર્ષીય ફિલ્મ એન્ડ ટેલીવિજન ઈંસ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના પૂર્વ અધ્યક્ષ અભિનેતા અનુપમ ખેરના પત્ની કિરન ખેર ભાજપના સાંસદ છે.