આઝાદ ભારતના પહેલા ત્રાસવાદી હિન્દુ હતા અને તે છે નથુરામ ગોડસે
કમલ હસનનું વિવાદાસ્પદ નિવેદન
તામિલનાડુ તા. ૧૩ : મક્કલ નીધિ મૈયમ (એમએનએમ)ના સંસ્થાપક કમલ હાસને એવું કહી નવો વિવાદ ઉભો કર્યો છે કે, આઝાદ ભારતના પહેલા 'આતંકવાદી હિન્દૂ' હતા. તેઓ મહાત્મા ગાંધીની હત્યા કરનાર નાથૂરામ ગોડસેના સંદર્ભમાં વાત કરી રહ્યાં હતા. રવિવારની રાત્રે એક ચૂંટણી સભાને સંબોધન કરતા સમયે હાસને કહ્યું હતું કે, તેઓ એક એવા સ્વામિભાની ભારતીય છે જે સમાનતાનું ભારત ઇચ્છે છે.
તેમણે કહ્યું કે, 'હું આવું એટલા માટે નથી કહી રહ્યો કે આ એક મુસ્લિમ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે, તેના બદલે હું ગાંધીની મૂર્તિ આગળ આ બોલું છું. આઝાદ ભારતનો પહેલો આતંકવાદી હિન્દૂ હતો અને તેનું નામ નાથૂરામ ગોડસે છે. ત્યારથી આતંકવાદની શરૂઆત થઇ છે. મહાત્મા ગાંધીની ૧૯૪૮માં હત્યાનો સંદર્ભ આપતા હાસને કહ્યું કે, હું તે હત્યાનો જવાબ શોધવા આવ્યો છું.'
કમલ હાસન આ પહેલા પણ દક્ષિણપંથી ચરમપંથ પર નિશાન સાધી ચૂકયા છે. લગભગ દોઢ વર્ષ પહેલા આ સંબંધમાં તેમણે એક વિવાદીત લેખ પણ આ વિષય પર લખ્યો હતો. તેમાં તેમણે લખ્યું હતું કે, દક્ષિણપંથી સમૂહોએ હિંસાનું દામન એટલા માટે પકડી રાખ્યું છે કેમકે તેમની જૂની રણનીતિએ કામ કરવાનું બંધ કરી દીધુ છે. હાસને તમિલ પત્રિકા 'આનંદ વિકટન'ના અંકમાં તેમની કોલમમાં આરોપ લગાવ્યો હતો કે, દક્ષિણપંથી સંગઠનોએ તેમના વલણમાં ફરફાર કર્યો છે. જોકે, તેમાં તેમણે કોઇનું નામ લીધું ન હતું.
તેમણે કહ્યું હતું કે, પૂર્વમાં હિન્દૂ દક્ષિણપંથી, અન્ય ધર્મો સામે હિંસામાં જોડાયા વિના, તેમની દલીલો અને જવાબી દલીલોથી હિંસા માટે મજબૂર કરતા હતા. હાસને લખ્યું હતું કે, જો કે, 'આ જૂનુ ષડયંત્ર' નિષ્ફળ થવાનું શરૂ થયું હતું. ત્યારે આ સમૂહ હિંસામાં જોડાયા હતા. તમિલ ફિલ્મ અભિનેતાએ લખ્યું હતું કે, ચરમપંથ કોઇપણ પ્રકારે તેમના માટે સફળતા અથવા વિકાસ (માનક) હોઈ શકે નહીં, જેને પોતાને હિન્દુ કહે છે.