RComના લેણદારો કંપની પાસે ૯૦,૦૦૦ કરોડની માંગણી કરશે
રાષ્ટ્રીય બેંકો ઉપરાંત, ચીનના ધિરાણકારો, બોન્ડધારકો પણ વ્યાજ સાથે તેમના લેણાની માંગણી કરશે
મુંબઇ તા. ૧૩ : લેણદારો RCom પાસેથી રૂ. ૯૦,૦૦૦ કરોડ સુધીની રકમ માંગે તેવી શકયતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અનિલ અંબાણીની કંપનીના ચોપડે લગભગ રૂ. ૪૬,૦૦૦ કરોડના ઋણનો આંકડો હતો અને લેણદારોની કલેમ તેનાથી બમણો છે. આ સાથે જે કંપનીઓ પર ઇન્સોલ્વન્સીની કાર્યવાહી થઈ છે તેમાં આ આંકડો સૌથી મોટો છે.
RCom ની ઇન્સોલ્વન્સી પ્રક્રિયાના ભાગરૂપે વૈશ્વિક બેન્કો, સરકાર સહિતના કાર્યકારી લેણદારો, મોબાઇલ ફોન કંપનીઓ અને ટેલિકોમ ટાવર કંપનીઓ સહિત કંપનીના ધિરાણકારોએ ઇન્ટરિમ રિઝોલ્યુશન પ્રોફેશનલ (IRP) RBSA એડ્વાઇઝર્સ LLP સમક્ષ બાકી રકમ માટેની માંગણી શરૂ કરી દીધી છે. સૂત્રએ જણાવ્યું હતું કે, 'કલેમ મૂકવાની છેલ્લી તારીખ ૨૧ મે છે અને એક ગણતરી પ્રમાણે કલેમનો આંકડો રૂ. ૭૫,૦૦૦-૯૦,૦૦૦ કરોડની રેન્જમાં રહેવાનો અંદાજ છે.' કલેમ ઓબ્લાઇજર અને કો-ઓબ્લાઇજરના સ્વરૂપમાં હશે. એનો અર્થ એ થયો કે, RCom અને તેના બે યુનિટ્સ – રિલાયન્સ ઇન્ફ્રાટેલ અને રિલાયન્સ ટેલિકોમ તેમજ તેની સ્ટેપ-ડાઉન કંપનીઓના ઋણની પણ ગણતરી કરવામાં આવશે. એટલે કલેમની રકમ RCom ના રૂ. ૪૬,૦૦૦ કરોડના ઋણ કરતાં બમણી થવાનો અંદાજ છે.
અન્ય એક સૂત્રએ જણાવ્યું હતું કે, 'રાષ્ટ્રીય બેન્કો ઉપરાંત, ચીનના ધિરાણકારો, બોન્ડધારકો પણ વ્યાજ સાથે તેમનાં લેણાંની માંગણી કરશે. ઇન્સોલ્વન્સી કેસમાં કલેમનો આ કદાચ સૌથી મોટો આંકડો હશે. ૨૦૧૭માં એસ્સારની ઇન્સોલ્વન્સી પ્રક્રિયા શરૂ થઈ ત્યારે કલેમની રકમ રૂ. ૮૨,૫૪૧ કરોડ હતી. તેને ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ ૨૦૧૬ હેઠળના અત્યાર સુધીના મોટા કેસમાં ગણવામાં આવે છે.'
RCom પર ગયા સપ્તાહે ફરી ઇન્સોલ્વન્સી પ્રક્રિયા શરૂ થયા પછી IRP મનીષ કનેરિયા, મિતાલી શાહ અને પ્રદીપ સેઠી અનુક્રમે RCom , રિલાયન્સ ટેલિકોમ અને રિલાયન્સ ઇન્ફ્રાટેલની બેન્કરપ્સી પ્રક્રિયા સંભાળી રહ્યા છે. એરિકસન જેવા કાર્યકારી લેણદારોએ ૨૦૧૭માં નીમેલા IRPsને કોર્ટે ૩૦ મે સુધીમાં કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રક્રિયા (CIRP) અંગે પ્રોગ્રેસ રિપોર્ટ સોંપવા જણાવ્યું છે. જોકે, મુખ્ય નાણાકીય ધિરાણકાર SBI હવે RBSAને બદલવા માંગે છે. સામાન્ય રીતે ત્ય્ભ્ બાકી લેણાંના કલેમ ચકાસી લેણદારોની સમિતિ સમક્ષ રજૂ કરે છે.
આ જ IRP મોટા ભાગના કેસમાં RPમાં ફેરવાય છે. RCom ના કિસ્સામાં હજુ લેણદારોની સમિતિ નિમાઈ નથી અને સત્તાવાર રીતે RP ન નિમાય ત્યાં સુધી RBSA ઓછામાં ઓછા એક મહિના સુધી પ્રક્રિયાનું સંચાલન કરશે.
ઉલ્લેખનીય છે કે, એપેલટ ટ્રિબ્યુનલે RCom અને તેના બે યુનિટ્સ સામે ઇન્સોલ્વન્સી પ્રક્રિયાનો સ્ટે ઉઠાવ્યા પછી કંપની સામે બેન્કરપ્સી કોર્ટમાં પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. લગભગ રૂ. ૨૦,૦૦૦ કરોડનું ઋણ ધરાવતી એરસેલનું સંચાલન ડેલોઇટ કરી રહી છે. અગાઉ સપ્ટેમ્બર ૨૦૧૭માં એરિકસને RCom સામે રૂ. ૧,૫૦૦ કરોડ નહીં ચૂકવવા બદલ ઇન્સોલ્વન્સી માટે અરજી કરી હતી.(૨૧.૩૦)