મરકજ બંધ કમરામાં હોવાથી કોરોના ફેલાયો, પરંતુ કુંભમેળો ખુલ્લામાં થતો હોવાથી કોરોના નહીં ફેલાય:તીરથ સિંહ રાવત
માં ગંગા અવિરત ધારા છે મા ગંગાના આશીર્વાદ લઇને જશો તો કોરોના ફેલાશે નહીં.
દહેરાદુન : કોરોના મહામારી કેવી રીતે ફેલાય છે? તે અંગે ઉત્તરાખંડના સીએમ તીરથ સિંહ રાવતે પોતાની ફિલસુફી જણાવતા કહ્યું કે તબલિગી મરકજની કુંભમેળા સાથે તુલના ન થાય. મરકજ બંધ કમરામાં થયું હોવાથી કોરોના ફેલાયું હતું. પરંતુ કુંભમેળો ખુલ્લામાં થઇ રહ્યો હોવાથી કોરોના નહીં ફેલાય.
તીરથ સિંહ રાવતે કહ્યું કે માં ગંગા અવિરત ધારા છે મા ગંગાના આશીર્વાદ લઇને જશો તો કોરોના ફેલાશે નહીં. અગાઉ સોમવારે સચિવાલયે પત્રકારોને જણાવ્યું હતું કે બીજા શાહી સ્નાનમાં અખાડાના સંત સમાજથી લઇ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હરિદ્વાર કુંભ 2021માં ડૂબકી લગાવી પુણ્ય કમાવ્યુ.
સોમવતી અમાસે શાહી સ્નાન અંગે શ્રદ્ધાળુઓમાં બહુ ઉત્સાહ હતો સવારે 8 વાગ્યા સુધી તો 15 લાખ શ્રદ્ધાળુઓએ સ્નાન કરી લીધું હતું. તે આંકડો સાંજે 6 વાગ્યા સુધી 28 લાખે પહોંચી ગયો.
ઉત્તરાખંડમાં સરકારી આંકડા મુજબ સોમવારે 1334 નવા કેસ નોંધાયા, તે સાથે કુલ સંખ્યા 11,0146 થઇ ગઇ. 8 દર્દીનાં મોત થયા. રાજ્યમાં કુલ મૃતકોની સંખ્યા 1767 થઇ છે. સીએમ તીરથ સિંહે ભલે રાજ્યમાં કોરોના નહીં ફેલાવવાનો દાવો કર્યો હોય. પરંતુ વાસ્તવિક્તા એ છે કે છેલ્લા એક સપ્તાહમાં યુપી, બિહાર અને ઉત્તરાખંડમાં 300 ટકા કોરોનાના કેસો વધી ગયા. ઉત્તરાખંડમાં દર્દીઓની સંખ્યામાં એક દિવસમાં175 ટકાનો વધારો નોંધાયો.
બિહારમાં 11 એપ્રિલે સંક્રમણના 14,852 નવા કેસ નોંધાયા. જે એક સપ્તાહ પહેલાં 3,422 હતા. ઉત્તર પ્રદેશમાં પણ એક સપ્તાહમાં 62,005 દર્દી નોંધાયા. જે એક સપ્તાહ પહેલાં 16,269 હતા.