મુખ્ય સમાચાર
News of Tuesday, 13th March 2018

ગોરખપુર અને ફુલપુર ચૂંટણી પરિણામને લઇને ખુબ ઉત્સાહ

લોકસભા પેટાચૂંટણીના બુધવારે પરિણામ જાહેર : હાઇવોલ્ટેજ ચૂંટણી પ્રચાર બાદ પણ બન્ને જગ્યાએ ઓછુ મતદાન થતા ભાજપની ચિંતા વધી : બધાની નજર કેન્દ્રિત

નવી દિલ્હી,તા. ૧૩ : જેની ઉત્સુકતાપૂર્વક રાજકીય વર્તુળોમાં રાહ જોવામાં આવી રહી છે તે ગોરખપુર અને ફુલપુરમાં લોકસભા પેટાચૂંટણીના પરિણામ આવતીકાલે બુધવારના દિવસે જાહેર કરવામાં આવનાર છે. આ પરિણામ પર તમામ રાજકીય પક્ષોની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. હાઇ વોલ્ટેજ ચૂંટણી પ્રચાર છતાં મતદાનની ટકાવારી ઓછી રહેતા ભાજપની ચિંતા વધી ગઇ છે. બન્ને સીટો મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ માટે ખુબ ઉપયોગી છે. કારણ કે આ ચૂંટણીને લોકસભાની ચૂંટણી માટે રિહર્સલ તરીકે બણ કેટલાક નિષ્ણાંતો નિહાળે છે. ઉત્તરપ્રદેશની સાથે સાથે બિહારમાં પેટાચૂંટણીના પરિણામ પણ જાહેર કરવામાં આવનાર છે. ઉત્તરપ્રદેશ અને બિહારમાં પેટાચૂંટણી માટે  ૧૧મી માર્ચના દિવસે શાંતિપૂર્ણ માહોલમાં ઓછું મતદાન થયુ હતુ. ગોરખપુરમાં ૪૭.૪૫ ટકા અને ફુલપુરમાં ૩૭.૩૯ ટકા જેટલું ઓછું મતદાન થયું હતું. ૧૨ ટકા ઓછું મતદાન રહ્યા બાદ ભારે સસ્પેન્સની સ્થિતિ પ્રવર્તી રહી છે. ૨૦૧૪માં ભાજપે બંને સીટો ઉપર મોટા અંતરથી જીત મેળવી હતી. ૨૦૧૪ લોકસભાની ચૂંટણીમાં ફુલપુરમાં ૫૦.૨૦ ટકા અને ગોરખપુરમાં ૫૪.૬૪ ટકા મતદાન થયું હતું. આવતકાલે તમામ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થનાર છે.  બિહારમાં અરરિયા લોકસભા સીટ અને ભભુઆ તેમજ જેહાનાબાદ વિધાનસભાની તેમજ ઉત્તરપ્રદેશમાં ફુલપુર, ગોરખપુર લોકસભા બેઠક માટે મતદાન યોજાયુ હતુ. આ પેટાચૂંટણીને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ માટે અગ્નિ કસૌટી તરીકે પણ ગણવામાં આવે છે. બીજી બાજુ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી નવા પ્રયોગ સાથે આ પેટાચૂંટણીમાં ઉતર્યા છે જેથી અહીંના પરિણામ તેમના માટે પણ ઉપયોગી રહેશે.મતગણતરીને લઈને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી.  ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મજબૂત ગણાતા ગઢ ફુલપુર અને ગોરખપુરમાં આ પેટાચૂંટણી યોજાઇ હતી.ઓછા મતદાન બાદ યોગ પોતે પણ ચિંતિત દેખાઇ રહ્યા છે.  માયાવતીના નેતૃત્વમાં બહુજન સમાજ પાર્ટીએ ભાજપ સામે ટક્કર લેવા સમાજવાદી પાર્ટીને ટેકો આપ્યો હતો. જ્યારે કોંગ્રેસ પાર્ટીએ એકલા હાથે મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યા બાદ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.મતગણતરીને લઇને  અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા બંને જગ્યાએ ગોઠવી દેવામાં આવી હતી. કેન્દ્રિય અર્ધલશ્કરી દળના જવાનો ગોઠવવામાં આવ્યા  છે.   અત્રે નોંધનીય છે કે  હાલમાં જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જોરદાર સપાટો બોલાવ્યો હતો. ગોરખપુરમાંથી ૧૦ અને ફુલપુરમાંથી ૨૨ ઉમેદવારોના ભાવિનો ફેસલો થનાર છે. ભાજપે ફુલપુરમાંથી કૌશલેન્દ્રસિંહ પટેલ અને ગોરખપુરમાંથી ઉપેન્દ્ર દત્ત શુકલાને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે સમાજવાદી પાર્ટીએ પ્રવિણ નીસાદ અને નગેન્દ્ર પ્રતાપસિંહને મેદાનમાં ઉતાર્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર ગોરખપુરમાંથી સુરીતા કરીમ રહ્યા છે.  પાર્ટીએ સમાજવાદી પાર્ટી સાથે છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં હાથ મિલાવ્યા હતા. કોંગ્રેસે ફુલપુરમાંથી મનિષ મિશ્રાને મેદાનમાં ઉતાર્યા હતા. ગોરખપુર સંસદીય બેઠકમાં ૯૭૦ મતદાન સેન્ટરો ઉભા કરવામાં આવ્યા હતા.૨૧૪૧ મતદાન મથકો પર મતદારો મોટી સંખ્યામાં મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા હતા.

  ઉત્તરપ્રદેશના ફુલપુરમાં ૯૯૩ પોલીંગ સેન્ટરો અને ૨૦૫૯ મતદાન મથકો બનાવવામાં આવ્યા  હતા. ફુલપુર સંસદીય મતવિસ્તારમાં ૧૯૬૧ લાખ મતદારો અને ગોરખપુરમાં ૧૯.૪૯ લાખ મતદારો નોંધાયા હતા. જે પૈકી મોટા ભાગના મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ાજે બહાર નિકળ્યા હતા. પેટાચૂંટણીમાં ૪૭૨૮ વીવીપેટ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

(1:06 pm IST)