દેશના 14 કરોડ ખેડૂતોને કૃષિધિરાણનો લાભ :ધિરાણ સાથે પાકવીમો ફરજીયાત
પ્રધાનમંત્રી પાકવિમાં યોજના અંતર્ગત આ વર્ષે 40 ટકા એટલે કે 776 લાખ હેકટરને આવરી લેવાશે
નવી દિલ્હી :સરકારે છેલ્લાં બે વર્ષથી કૃષિધિરાણ સાથે પાકવીમો એ ફરજિયાત કર્યો છે જેના પગલે દેશમાં 14 કરોડ ખેડૂતો કૃષિધિરાણનો લાભ મેળવી રહ્યાં છે વર્ષ 2016માં ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ લોન્ચ થયેલી પ્રધાનમંત્રી પાકવીમા યોજના 26 ટકા સુધી પહોંચી છે. સરકાર આ વર્ષે 40 ટકા એટલે કે 776 લાખ હેક્ટર જમીનનો પાકવીમો ખેડૂતો ઉતારે તે માટે પ્રયત્નો કરી રહી છે. સરકાર વર્ષ 2019 સુધી આ યોજનાને 50 ટકા સુધી લઈ જવાનો લક્ષ્યાંક ધરાવે છે.
સરકારની આ યોજનાથી ખેડૂતોનું ભલું થાય કે નહીં પણ પાકવીમા સાથે સંકળાયેલી કંપનીઓને તો બખ્ખાં થઈ ગયાં છે. સરકાર સામેથી ખેડૂતોને વીમાનું પ્રીમિયમ ભરવા મજબૂર કરી રહી છે. વર્ષ 1985 થી 2016 સુધીમાં માત્ર 23 ટકા વિસ્તારને સરકાર ત્રણ જ વર્ષમાં 50 ટકાએ લઈ જવાના લક્ષ્યાંક અંતર્ગત કામગીરી કરી રહી છે.
ગુજરાતમાં ગત વર્ષે 13 લાખ ખેડૂતોએ પાકવીમા યોજનાનો લાભ લીધો હતો. ખેડૂતો માટે ફરજિયાતને બદલે આ યોજના મરજિયાત રખાય તેવી ખેડૂતો બુમરાણ પાડી રહ્યા છે. પાકવીમા યોજનાને પગલે પ્રથમવાર વીમાક્ષેત્રમાં ગત વર્ષે 32 ટકાનો વેપાર વધ્યો હતો. પ્રધાનમંત્રી પાકવીમા યોજના એ વાહન વીમા અને સ્વાસ્થ્ય વીમા બાદ ત્રીજા ક્રમ પર પહોંચી ગઈ છે.